શ્રીધરનનું ભગીરથ કાર્ય ‘મહાભારત’નું મહાટ્વિટ

Tuesday 24th February 2015 10:01 EST
 
 

લંડનઃ ભારતીય જનમાનસમાં વ્યાપ્ત મહાકાવ્ય 'મહાભારત’ને ટ્વિટર જેવી માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ઉતારવાનું કામ પડકારજનક જ કહી શકાય, પરંતુ બ્રિટનમાં રહેતા એક ભારતીય પ્રોફેસર ડો. ચિંદુ શ્રીધરને આ ભગીરથ કામ સાકાર કરી દેખાડ્યું છે. શ્રીધરને ૨૦૦૯માં @ epicretold હેન્ડલથી ‘મહાભારત’ની કથાને ટ્વિટર પર લખવાનું શરૂ કર્યું હતું, જે પૂરી કરતાં તેમને ચાર વર્ષ લાગ્યાં છે.
બ્રિટનના બોર્નમાઉથ યુનિવર્સિટીમાં મીડિયા અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં ભણાવતા ડો. શ્રીધરન્ યુદ્ધકથાઓ સંબંધિત ઇતિહાસના નિષ્ણાત છે. તેઓ ‘મહાભારત’ને પણ એક યુદ્ધકથાના રૂપમાં જ નિહાળે છે. કુલ ૧૬૦૫ દિવસોમાં લખાયેલી આ મહાભારત કથાને ડો. શ્રીધરને ૨૬૨૮ ટ્વિટ્સમાં પૂરી કરી છે.
પ્રેરણાસ્રોત જાપાન
૪૧ વર્ષના ડો. શ્રીધરન્ કહે છે કે આવું કરવાની પ્રેરણા તેઓને જાપાનમાં એસએમએસ દ્વારા લખાયેલી એક નવલકથા પરથી મળી હતી. વર્ષ ૨૦૦૩માં યોશી નામના એક જાપાનીસે 'ડિપ લવ' નામની નવલકથા એસએમએસ દ્વારા લખી હતી. જોકે ટ્વિટર પર અત્યંત લાંબા મહાકાવ્યને લખવાનું કામ પૂરું થશે કે નહીં તે અંગે ડો. શ્રીધરનને શંકા તો હતી, પણ તેઓ આ પ્રયોગ કરવા આતુર હતા. તેઓ ટ્વિટરની ક્ષમતાની તપાસ કરવા આ પ્રયોગ કરવા માંગતા હતા.
ડો. શ્રીધરન કહે છે, ‘ટ્વિટર પર આપણે ઘણા ઓછા શબ્દોમાં પોતાની વાત કરીએ છીએ. મેં વિચાર્યું કે ‘મહાભારત’ જેવા લાંબા મહાકાવ્યને ૧૪૦ કેરેકટરમાં લખવું આસાન તો નથી, છતાં પણ મેં ૨૦૦૯માં તેની શરૂઆત કરી હતી.’ પોતે આ મહાકાવ્ય ભીમની નજરે લખ્યું હોવાનું જણાવતા ડો. શ્રીધરન ઉમેરે છે કે હવે તેઓ ‘મહાભારત’ને દુર્યોધનની નજરે ટ્વિટરમાં ઉતારવાના છે.


comments powered by Disqus