સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પાણીની પારાયણ શરૂ

Monday 23rd March 2015 08:14 EDT
 
 

રાજકોટઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે જ આકરી ગરમીની શરૂઆત થઈ છે. આ સ્થિતિમાં સોરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. ટેન્કરો દ્વારા પાણી પુરવઠો ઉપલ્બધ કરાવવામાં આવે છે. ટૂંક સમયમાં આ સ્થિતિ વધુ ગંભીર બને તેવા સંકેત છે. બંધ સુકાઈ રહ્યા છે અને પાણીની માગ વધી રહી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ પછી આ ગંભીર સ્થિતિ બહાર આવી છે.

ખાસ કરીને અમરેલી, જામનગર, બોટાદ, મોરબી જેવા જિલ્લામાં પાણીની તીવ્ર તંગી ઊભી થઈ ગઈ છે. ૨૧ માર્ચની પરિસ્થિતિએ રાજ્યના બંધમાં પાણીની કુલ સ્ટોરેજ ક્ષમતા ઓછી થઈ છે. માર્ચ ૨૦૧૪માં આ બંધમાં જે પાણી હતું તેની સરખામણીમાં ખૂબ ઓછું પાણી છે. ૨૧ માર્ચ, ૨૦૧૪ના રોજ આ બંધમાં તેની કુલ ક્ષમતાના ૬૨.૦૫ ટકા જેટલું પાણી હતું. અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં આવેલા બંધમાં તેમની કુલ સ્ટોરેજ ક્ષમતાની સામે ખૂબ જ ઓછું પાણી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, કચ્છમાં ૪૫ સરકારી અને ૧૨ ખાનગી ટેન્કરો દ્વારા પાણી ઉપબલ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

રાજકોટમાં ઇમર્જન્સી પાઇપલાઈન યોજના શરૂ

રાજકોટ શહેરની પાણીની અછત નિવારવા માટે મ્યુનિસિપલ તંત્ર ખંભાળાથી કાલાવાડ રોડના ઇશ્વરિયા સુધીની પાઈપલાઈન નાખવાની કામગીરી તીવ્ર ગતિએ આગળ ધપાવી રહ્યું છે. અંદાજે રૂ. ૬ કરોડના આ પ્રોજેક્ટ અમલી બન્યાં બાદ શહેરને વધારાનું ૪૦ એમએલડી પાણી મળશે. શહેરને પાણી પૂરું પાડતા સ્થાનિક જળાશયોમાં ૩૧ માર્ચ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં રાજકોટને નર્મદા નીર આપવામાં ન આવે તો પાણી કાપ મૂકવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.


comments powered by Disqus