ગત સપ્તાહે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને લખેલા એક વિસ્તૃત પત્રમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, યુકેમાં ગુજરાતી મૂળના લાખો લોકો સ્થાયી થયા છે. તેમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગુજરાતની વારંવાર મુલાકાત લે છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં ગુજરાત અને તેના પાડોશી રાજ્યોના લોકો સાથે પણ યુકેવાસીઓના આર્થિક સંબંધો છે. આ અન્ય રાજ્યોના લોકોના સંબંધીઓ પણ યુકેમાં સ્થાયી થયા છે. આથી બંને સ્થળો વચ્ચે પ્રવાસીઓના સતત ધસારાને કારણે લંડન-અમદાવાદ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થઇ હતી, પરંતુ અંતે તે ફ્લાઇટ બંધ થઇ ગઇ.
આ ફ્લાઇટ બંધ થતાં વૃદ્ધ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને વાયા મુંબઇ, દિલ્હી, દુબઇ, અબુ ધાબી કે દોહા થઇને હાડમારી ભોગવી પ્રવાસ કરવો પડે છે. જો આ ફ્લાઇટ સત્વરે શરૂ થાય તો યુકેથી ભારતના પ્રવાસન ઉદ્યોગને લાભ થશે, તેમ જ બંને દેશોના સંબંધોને પણ વધુ ઉત્તેજન મળશે.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સીધી ફ્લાઇટની સમસ્યાથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં નિર્ણય લઇ શકતા નથી. કારણ કે, એર ઇન્ડિયાએ ૫ બિલિયન ડોલરની ખોટ નોંધાવી છે અને વધુમાં તેનું કુલ દેવું રૂ. ૪૦ હજાર કરોડ પર પહોંચ્યું છે. જોકે, સરકારે એર ઇન્ડિયાને આ સ્થિતિમાંથી ઉગારવા ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો, બેન્કર્સ અને ટેક્નોક્રેટ્સને સમાવતી એક સમિતિની રચના કરી છે. જે આ એરલાઇન કંપનીના સુદ્રઢ ભવિષ્ય માટે સલાહ આપશે. આ સમિતિ ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સુપરત કરે તેવી સંભાવના છે.