અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ માટે વરિષ્ઠ પ્રધાનની કેન્દ્રમાં જોરદાર રજૂઆત

Wednesday 31st December 2014 07:58 EST
 
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
 

ગત સપ્તાહે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને લખેલા એક વિસ્તૃત પત્રમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, યુકેમાં ગુજરાતી મૂળના લાખો લોકો સ્થાયી થયા છે. તેમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગુજરાતની વારંવાર મુલાકાત લે છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં ગુજરાત અને તેના પાડોશી રાજ્યોના લોકો સાથે પણ યુકેવાસીઓના આર્થિક સંબંધો છે. આ અન્ય રાજ્યોના લોકોના સંબંધીઓ પણ યુકેમાં સ્થાયી થયા છે. આથી બંને સ્થળો વચ્ચે પ્રવાસીઓના સતત ધસારાને કારણે લંડન-અમદાવાદ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થઇ હતી, પરંતુ અંતે તે ફ્લાઇટ બંધ થઇ ગઇ.
આ ફ્લાઇટ બંધ થતાં વૃદ્ધ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને વાયા મુંબઇ, દિલ્હી, દુબઇ, અબુ ધાબી કે દોહા થઇને હાડમારી ભોગવી પ્રવાસ કરવો પડે છે. જો આ ફ્લાઇટ સત્વરે શરૂ થાય તો યુકેથી ભારતના પ્રવાસન ઉદ્યોગને લાભ થશે, તેમ જ બંને દેશોના સંબંધોને પણ વધુ ઉત્તેજન મળશે.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સીધી ફ્લાઇટની સમસ્યાથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં નિર્ણય લઇ શકતા નથી. કારણ કે, એર ઇન્ડિયાએ ૫ બિલિયન ડોલરની ખોટ નોંધાવી છે અને વધુમાં તેનું કુલ દેવું રૂ. ૪૦ હજાર કરોડ પર પહોંચ્યું છે. જોકે, સરકારે એર ઇન્ડિયાને આ સ્થિતિમાંથી ઉગારવા ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો, બેન્કર્સ અને ટેક્નોક્રેટ્સને સમાવતી એક સમિતિની રચના કરી છે. જે આ એરલાઇન કંપનીના સુદ્રઢ ભવિષ્ય માટે સલાહ આપશે. આ સમિતિ ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સુપરત કરે તેવી સંભાવના છે.


comments powered by Disqus