અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ મહેસાણાના એક પરિવારનો પુત્ર લંડન ગયો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. દરમિયાન તે સ્થાનિક યુવતીને પ્રેમ કરતો હોવાથી તેની સાથે વર્ષ ૨૦૦૮માં લગ્ન કર્યા હતા અને તેને પણ પોતાની સાથે લઇ ગયો હતો.
દરમિયાન ૧૯ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ યુવકની બહેનના લગ્ન હોવાથી તેઓ લગ્ન માટે વતન આવ્યા હતા અને ૫ ફેબ્રુઆરીના રોજ દંપતી પરત ગયા હતા. પરંતુ પાછળથી ૨૫ ફેબ્રુઆરીનો રોજ પુત્રવધૂ લંડનથી પિતૃગૃહે પરત ફરી હતી અને તેણે પતિ, સાસુ, મામાજી સસરા અને એક મહિના પહેલા જ લગ્ન થયા હતા તે નણદોઇ સામે જ દહેજ અને માનસિક ત્રાસનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી શરૂ થઇ હતી. આથી ૭૪ વર્ષના વૃદ્ધા, તેમના ભાઇ અને તેમના જમાઇએ આ કેસની ફરિયાદ રદ કરીને ટ્રાયલ રદ કરવા પિટિશન કરી હતી.
પિટિશનમાં રજૂઆત કરી હતી કે, પુત્રવધૂ તો લાંબા સમયથી લંડન રહેતી હતી ત્યારે આવો કેસ કેવી રીતે થઇ શકે. વધુમાં વૃધ્ધાના પતિ સરકારી નોકરી કરતા હતા અને તેમને પેન્શન મળે છે. આથી તેમને પૈસાની માગણી કરી હોવાનો પ્રશ્ન માની શકાય તેમ નથી. વધુમાં નણંદના લગ્ન થયે એક જ મહિનો થયો હતો અને નણદોઇની સામે પણ કેસ કર્યો છે. મામાજી સસરાને પણ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. આથી આ સમગ્ર ફરિયાદ ઉપજાવી કાઢી હોવાતી રદ કરવી જોઇએ.