ત્રણ બ્રિટિશ ભારતીયોની હત્યાના કેસમાં છ આરોપી નિર્દોષ

ગોધરાકાંડ બાદ પ્રાંતિજ પાસે હિંસક ટોળાના હુમલાનો ભોગ બન્યા હતા

Wednesday 04th March 2015 07:33 EST
 
 

અમદાવાદઃ ગોધરાકાંડના પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન પ્રાંતિજ નજીક વડવાસા પાટિયા પાસે એક ટાટા સુમો કારને આંતરી તેના ચાલક અને ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યા કરવાના અતિ સંવેદનશીલ કેસમાં હિંમતનગરની સ્પેશ્યલ કોર્ટે તમામ છ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે તપાસનીશ એજન્સીઓ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે.
આ ઘટનામાં હત્યાકાંડનો ભોગ બનેલી ચારમાંથી ત્રણ વ્યક્તિ - શકીલ અબ્દુલ હઇ દાઉદ, સઇદ શફીક દાઉદ અને મોહમ્મદ અસ્વાત બ્રિટિશ નાગરિકત્વ ધરાવતી હતી. આ કેસ ૧૩ વર્ષ ચાલ્યો છે, જેમાં આઠ જજની બદલી થઇ હતી. સરકાર દ્વારા ચાર ખાસ સરકારી વકીલની નિમણૂક કરાઇ હોવા છતાં કેસ પુરવાર થઇ શક્યો નથી. કેસમાં પહેલી વખત લંડનના હાઈકમિશનના અધિકારી સહિત અન્યોની જુબાની લેવામાં આવી હતી. એટલું જ નહીં, લંડન સ્થિત સાક્ષીઓની વીડિયો કોન્ફરન્સથી જુબાની લેવાઈ હતી.
ગોધરાકાંડ સાથે સંકળાયેલા નવ કેસોની તપાસ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’)ને સોંપાઈ હતી. ‘સીટ’એ વધુ પુરાવા એકઠા કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા સાથોસાથ છ આરોપીઓના લાઈ ડિટેક્શન ટેસ્ટ કરીને તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ‘સીટ’ને ૨૦૦૮માં આ કેસ સોંપાયો હતો. છેલ્લા ૧૩ વર્ષમાં કેસની સુનાવણી દરમિયાન ૮૪થી વધુ સાક્ષીને તપાસવામાં આવ્યા હતા.
હિંમતનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજે ૨૮ ફેબ્રુઆરીએ ૧૮૩ પાનનો સવિસ્તર ચુકાદો આપતાં નોંધ્યું હતું કે આ કેસમાં તપાસનીશ એજન્સી આરોપીઓ વિરુદ્ધ ઇંડિયન પીનલ કોડની કલમ-૩૦૨ અને ૩૦૭ હેઠળનો આરોપ પુરવાર કરી શકી નથી. નજરે જોનાર સાક્ષી હોસ્ટાઇલ થઇ ગયા છે. તેમ જ સ્વતંત્ર સાક્ષીઓની જુબાનીમાં પણ આરોપીઓનું ગુનાહિત કૃત્ય, બનાવના સ્થળે તેઓની હાજરી અને પુરાવા પ્રસ્થાપિત ન થતાં હોવાથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવે છે.
આ હત્યાકાંડની વિગતો એવી છે કે, હાલ ઇંગ્લેન્ડમાં વસતાં અને નવસારીના વતની ઇમરાન મોહમ્મદ સલીમ દાઉદ બનાવના ૧૫ દિવસ અગાઉ પોતાના વતનની મુલાકાતે આવ્યા હતા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ આ ઘટના બની તેના પાંચ દિવસ પહેલાં ઇમરાન દાઉદ ઇંગ્લેન્ડથી ગુજરાતની મુલાકાતે આવેલા તેના કાકા શકીલ અબ્દુલ હઇ દાઉદ, સઇદ શફીક દાઉદ અને સંબંધી મોહમ્મદ અસ્વાત સાથે ટાટા સુમો ભાડે કરીને આગ્રા, જયપુર વગેરે સ્થળોએ ફરવા ગયા હતા.
આ ચારેય ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ વતન પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે છ વાગ્યાના સુમારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે વડવાસા પાટિયા નજીક હાઇવે પર એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ ટાટા સુમો કારને આંતરી હતી. ટોળાએ ટાટા સુમોને આગ ચાંપી દઇને ડ્રાઇવર યુસુફ પેલાઘરને તેમાં જીવતો જ ભુંજી નાંખ્યો હતો. આ પછી તલવાર, ચપ્પા, ધારિયા સહિતના ઘાતક હથિયારોથી સજ્જ ટોળાએ સુમોમાંથી બહાર ખેંચી કઢાયેલા પૈકીના ઇમરાન દાઉદ અને મહંમદ અસ્વાત પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજા પામેલા અસ્વાતનું બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જયારે હુમલા વખતે નાસી છૂટનારા બીજા બે બ્રિટિશ ગુજરાતીઓ શકીલ અબ્દુલ અને સઇદ શફીકને બાદમાં મૃત જાહેર કરાયા હતા.

આ હુમલામાં ઇજા પામેલા પણ બચી ગયેલા ઇમરાન દાઉદે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના આદેશથી ‘સીટ’ રચાઇ હતી. અધિકારીઓએ ૧૩ જુલાઇ, ૨૦૦૭ના રોજ છ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ મૂકી હતી.
ગુજરાત સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટરે બહુચર્ચિત જેસિકા લાલ હત્યાકાંડ અને બેસ્ટ બેકરી કેસમાં ઝહીરા શેખના ચુકાદાને ટાંકીને દલીલો કરતાં જણાવ્યું હતું કે, હત્યાકાંડમાં બચી જનાર અને ગંભીર ઇજા પામનાર ઇમરાન મોહમ્મદે સમગ્ર બનાવ નજરે જોયો છે અને તેની છેક સુધી હાજરી હતી. ઇમરાન દાઉદે આરોપીઓને કોર્ટ સમક્ષ ઓળખી બતાવતા કહ્યું હતું કે હુમલો કરનાર ટોળામાં સામેલ માણસો આરોપીઓ જેવા હતા. જેસિકા લાલ કેસમાં પણ બીના રામાણી નામનાં સાહેદે મનુ શર્મા સહિતના આરોપીને આ જ પ્રકારે ઓળખી બતાવ્યા હતા અને તેના આધારે આરોપી મનુ શર્માને જન્મટીપની સજા થઇ હતી.
જોકે કોર્ટે દલીલ નકારીને છ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. નિર્દોષ છૂટેલા આરોપીમાં ચંદુ પ્રભુદાસ પટેલ, મીઠાભાઈ પશાભાઈ પટેલ, મનોજ કેશવલાલ પટેલ, રમેશ એમ. પટેલ, રાજેશ બી. પટેલ અને કાળા હીરાભાઈ પટેલનો સમાવેશ થાય છે.
ડીએનએ ટેસ્ટથી ઓળખ
હુમલા વખતે બે એનઆરઆઇ સઇદ શફીક દાઉદ અને શકીલ અબ્દુલ હઇ દાઉદ યેનકેન પ્રકારેણ ટોળાના સંકજામાંથી ભાગ્યા હતા, પરંતુ ટોળામાંથી કેટલાકે તેમનો પીછો કર્યો હતો. શરૂઆતના સપ્તાહ સુધી તો આ બંને એનઆરઆઇની કોઇ ભાળ મળી ન હતી, જેથી બ્રિટિશ દૂતાવાસના પ્રતિનિધિ મંડળે ઘટનાસ્થળની મુલાકાત લઇને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં વડવાસા પાટિયાથી ત્રણેક કિલોમીટર અંદર સુધી એક ફેકટરી પાસે રાખના ઢગલામાંથી હાડકા, દાંત વગેરે મળ્યા હતા. આ અવશેષોને મુંબઇ સ્થિત બ્રિટિશ હાઇકમિશને હૈદરાબાદની લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા હતા. પરીક્ષણમાં સઇદ શફીક દાઉદના ડીએનએ મેચ થતા હોવાની હકીકત બહાર આવી હતી. જોકે આ કેસમાં શકીલ અબ્દુલ હઇ દાઉદની લાશ કે અન્ય કોઇ પુરાવા મળ્યા ન હોવાથી પુરાવાના અધિનિયમની જોગવાઇ મુજબ તેને મૃત જાહેર કરાયા છે.


comments powered by Disqus