લંડનઃ ભારતવંશી સંશોધકો દ્વારા કરાયેલા એક સર્વેક્ષણના તારણ અનુસાર બાળકો ભોજનમાં તેમના માટે પૌષ્ટિક ગણાતા ખોરાકના બદલે દિવસમાં ત્રણ વાર કે તેના કરતાં પણ વધુ વખત ખાંડયુક્ત ભોજન આરોગે છે.
આ સર્વેક્ષણનાં પરિણામો ખૂબ જ ચિંતાજનક છે. જે અનુસાર ૧૦ વર્ષ સુધીની ઉંમરના દર ત્રણ બાળકોમાંથી એક મેદસ્વી છે અને પાંચ વર્ષ સુધીનાં દર ત્રણ બાળકોમાંથી એક દાંતની તકલીફથી પીડાય છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર નીના મોદીના જણાવ્યા પ્રમાણે ખાંડના વધુ પડતા સેવનને કારણે જે શારીરિક તકલીફો ઊભી થાય છે તેને ચિંતાજનક ગણાવી શકાય.
આ સર્વેક્ષણ ૧૨૮૮ પુખ્ત વયના લોકો અને ૧૨૫૮ બાળકો ઉપર કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ચારથી દસ વર્ષની ઉંમરના બાળકો રોજ સરેરાશ ૧૦૦ મિ. લિ. ખાંડ ધરાવતાં પીણાં પીએ છે. રોજ તેઓ જેટલી કેલરી પેટમાં પધરાવે છે તેમાંની ૧૩ ટકા તો માત્ર ખાંડ મારફતે મેળવે છે.

