વડોદરા: દેશના નાણા પ્રધાન અરુણ જેટલીએ વર્ષનું બજેટ હાલમાં રજૂ કર્યું. ત્યારે યાદ આવે કે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમણે દત્તક લીધેલું પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જ વિકાસ ઝંખી રહ્યું છે. આ ગામમાં એમ્બ્યુલન્સ અપાઇ છે. બ્રિજ અને ટાંકીના કામ શરૂ થયા છે, પરંતુ હજુ પણ પાકા રોડ, સફાઇ, બસ, શૌચાલયો, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ મળે તેવું ગામના લોકો ઇચ્છે છે. કરનાળી જૂથ પંચાયતના સભ્ય અશોકભાઇએ જણાવ્યું હતું કે, કરનાળી અને જૂથ પંચાયતમાં આવતા વાલિયા, બગલીપુરા અને પીપલીયા ગામોમાં ૫૦૦ જેટલા ટોયલેટ બનાવવાના છે. જેનું મોડલ પણ તૈયાર છે.
કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામમાં રસ્તાઓ એવા બને છે કે દોઢ બે મહિને તૂટી જાય છે. શૌચાલયોની કામગીરી ધીમી છે. ગામના બગીચાનો વિકાસ જરૂરી છે. ગામમાં નદી કિનારાના ઘાટ અને ધાર્મિક સ્થળો પર સોલાર લાઇટ લગાવવાની જરૂર છે. ગામમાં માત્ર બે જ વખત એસ.ટી. બસ આવે છે, તેના રૂટમાં વધારો કરવો જોઈએ.

