લંડનઃ બ્રિટનમાં દરરોજ સરેરાશ પાંચ વિદેશી અપરાધીને દેશનિકાલ કરવાના બદલે જેલમુક્ત કરી દેવાય છે. પરિણામે, લગભગ ૬,૦૦૦ વિદેશી ક્રિમિનલ્સ આ દેશની શેરીઓમાં છડેચોક ઘૂમી રહ્યા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૧૫ના ગાળામાં ૪૧૬ વિદેશી અપરાધીને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા.
બ્રિટનમાં રહેતા ૫,૭૮૯ વિદેશી ગુનેગાર દેશનિકાલ થવાને પાત્ર છે, જેમાંથી લગભગ ત્રીજા ભાગના એટલે કે, ૧,૮૬૫ ગુનેગાર તો પાંચ કરતા વધુ વર્ષથી આઝાદ ફરી રહ્યા છે. મોટા ભાગના અપરાધી વિવાદાસ્પદ માનવ અધિકારોનો ઉપયોગ કરી તેમના ડિપોર્ટેશન આદેશોને પડકારતા રહે છે.
કોમન્સ હોમ અફેર્સ સિલેક્ટ કમીટિ દ્વારા હોમ ઓફિસના ઈમિગ્રેશન ડિરેક્ટોરેટ્સની તપાસ પછી આ આંકડા જાહેર કરાયા છે. જેના પગલે સાંસદો અને ક્રિમિનલ જસ્ટિસ નિષ્ણાતોએ વિદેશી ગુનેગારોને હદપાર કરવાની સિસ્ટમ પર કડક નિયંત્રણો રાખવામાં હોમ ઓફિસ તદ્દન નિષ્ફળ રહ્યાનો આક્ષેપ કર્યો છે.
સિલેક્ટ કમિટીના લેબર ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે, ‘પાંચ વર્ષ પછી પણ ૧,૮૦૦ અપરાધી અહીં હોવાનું બહાર આવતા જનતામાં ચિંતા ફેલાશે. આ બાબત સંબંધિત તંત્રની અસમર્થતા અને બિનકાર્યક્ષમતા દર્શાવે છે.’
૨૦૦૬માં તત્કાલીન લેબર હોમ સેક્રેટરી ચાર્લ્સ ક્લાર્ક ૧,૦૦૦ વિદેશી અપરાધીને દેશનિકાલ કરવામાં નિષ્ફળ રહેતા તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પછી પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ગયા વર્ષના આખરી ત્રિમાસિક ગાળામાં જેલમુક્ત કરાયેલા ૪૧૬ વિદેશી અપરાધીમાંથી માત્ર છને હદપાર કરાયા હતા અને ૧૪ને બ્રિટનમાં રહેવાની છૂટ અપાઈ હતી. ઘણાએ વિવાદિત માનવ અધિકાર અથવા એસાઈલમ કાયદા હેઠળ હદપારીને પડકારી હતી, જ્યારે ઘણાં અપરાધીને તેમની પાસે પૂરતા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી તત્કાળ હદપાર કરી શકાયા નહોતા.
