નવી દિલ્હીઃ સરકારે કેટલીક જાણીતી હસ્તીને પદ્મ પુરસ્કારથી પુરસ્કૃત કરવાની દરખાસ્તોને ફગાવી દીધી હતી. તેમાં ક્રિકેટર એમ. એસ. ધોની, વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ ગુરમિત રામ-રહીમસિંહ અને તબલાંવાદક ઝાકિર હુસેનનો પણ સમાવેશ થાય છે. સરકારને કુલ ૧૮,૭૬૮ નામોની દરખાસ્ત મળી હતી. તે પૈકી ૮૯ લોકોને આ વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત થશે. તેની સામે નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને ભાજપના નેતા મુરલીમનોહર જોશીનાં નામ નોમિનેશન યાદીમાં જ નહોતાં, પરંતુ તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે તે બંને નેતાને જાહેર બાબતોના મુદ્દે વિશિષ્ટ પ્રદાન બદલ પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. એ સત્તા સરકારને છે, પરંતુ તેમનાં નામની દરખાસ્ત કોણે કરી તેનો ઉલ્લેખ અધિકારીએ નહોતો કર્યો.
પદ્મ પુરસ્કાર માટે જેમનાં નામની બાદબાકી કરવામાં આવી તેમાં બીજા જનતા દળના સાંસદ બૈજયંત પંડા, સંગીતકાર અનુ મલિક અને પત્રકાર અર્નબ ગોસ્વામીનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયે તે નામોની બાદબાકી કરવાનાં કારણો નથી ટાંક્યાં.

