સુરતઃ ડીંડોલીના મહાદેવનગરમાં રહેતા ટીઆરબી જવાન મનોજ ભટ્ટુ વાઘ (ઉ.વ. ૩૨)ને પેટમાં દુઃખાવાની તકલીફ સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીકની બુરહાની હોસ્પિટલમાં પંદરેક દિવસથી દાખલ કરાયો હતો. પંદરેક દિવસ સુધી હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ રહેલા મનોજની તબિયતમાં કોઇ સુધારો જણાતો નહોતો. તબીબોએ તેને વેન્ટિલેટર પર જ રાખ્યો હતો. જવાનની રિકવરી થતી નહોતી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી. તેથી પરિવાર તબીબોની મંજૂરી વગર જવાનને ડામા (ડિસ્ચાર્જ અગેઈન મેડિકલ એડવાઈઝ) હેઠળ ઘેર લઈ ગયો. ઘરે લવાયેલા જવાનના અંગોમાં કોઈ હિલચાલ ન થતાં પરિવારજનોએ તેને મૃત માની લીધો અને તેની અંતિમ વિધિની તમામ તૈયારીઓ કરી લીધી. આ દરમિયાન જવાન પર ગંગાજળ છંટાયું. આંખ અને હોઠ પર ગંગાજળનો સ્પર્શ થતાં જ યુવાને આંખો પટપટાવીને ખોલી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

