ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રીય બજેટને કૃષિ અને ગ્રામવિકાસને વેગ આપનારું, યુવાનો માટે રોજગારીની તકો વધારનારું, તેમજ ગરીબ અને સામાન્ય નાગરિકો માટે વિકાસની નવી તક ખોલનારું લોકરંજક બજેટ તરીકે ગણાવ્યું છે.
જનહિતકારી બજેટમાં ગરીબ, કિસાન, ગામડું, વંચિત, શોષિત, પછાત એમ તમામ લોકોના વર્ગોનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. કિસાનોની આવક બમણી કરવાના લક્ષ્યથી ગ્રામીણ અર્થતંત્રમાં નવું જોમ આવશે, એમ ઉલ્લેખી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને ‘એઈમ્સ’ હોસ્પિટલની ફાળવણી બદલ અને ગાંધી આશ્રમની શતાબ્દિની ઉજવણી માટે કેન્દ્રીય સહાયની જાહેરાત બદલ આભાર માન્યો છે અને જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટમાં મહિલા- બાળકો- અનુસૂચિત જાતિ- જનજાતિના કલ્યાણ તેમજ ગરીબી નિર્મૂલન માટે ઠોસ કદમ ઉઠાવવામાં આવ્યા છે.
આમ સમગ્ર રીતે કેન્દ્રીય બજેટ પ્રગતિશીલ, કલ્યાણકારી, વિકાસના સપનાં સાકાર કરનારું છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે બજેટને વધાવતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું બજેટ સર્વાંગી વિકાસ અને રોજગારી વધારનારું લોકપ્રિય બજેટ છે.

