સુરતઃ આજે હું શ્રાપ આપું છું કે, આ હોસ્પિટલમાં આવવાની કોઇને જરૂર ન પડે અને આવવું પડે તો બીજી વાર આવવાની જરૂર ન પડે તેવી શુભકામના આપું છું એમ વડા પ્રધાન મોદીએ સોમવારે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ નિર્મિત કિરણ હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. અહીં ૫૦૦ કરોડની હોસ્પિટલ માટે દાતાઓની પ્રશંસા થાય છે, પણ તેમણે કશું કર્યુ નથી. સેવાકાર્યો માટે તેઓ ૫૦૦૦ કરોડ ખર્ચી શકે તેમ છે. આ લોકો ગુજરાતના ગામડાઓમાં માટી ખાઇને મોટા થયા છે.
હોસ્પિટલના લોકર્પણ બાદ એક સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં તેની મને દ્વિધા હતી. પણ તમે જે કામગીરી કરી છે તે આખો દેશ જાણે તે માટે હું હિન્દીમાં બોલું છું. આ હોસ્પિટલ દાનથી નહીં, પરંતુ ભાવથી વહેડાવેલા પરિશ્રમથી બની છે. સામાન્ય રીતે ડાયમંડ કે કાપડની ફેક્ટરીનું ઉદ્દઘાટન કરું ત્યારે હું કારોબાર વધે તેવી શુભકામના આપતે પરંતુ આજે હું શ્રાપ આપું છે કે આ હોસ્પિટલમાં આવવાની કોઈને જરૂર ન પડે. તેમણે સમગ્ર ટીમને અભિનંદન પણ આપ્યા હતા.

