જૂનાગઢઃ મેદસ્વી દર્દીઓની સર્જરી મોટાભાગે મેટ્રોસિટીમાં થાય છે, પણ જૂનાગઢ પાછળ નથી. ૨૨૦ કિલો વજનવાળા મહિલા દર્દીની જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં તાજેતરમાં સફળતાપૂર્વક ઐતિહાસિક સર્જરી ૨૨મીએ કરવામાં આવી હતી.
જૂનાગઢના ઉમાબહેન કિકાણીને પેટના દુ:ખાવાની ફરિયાદ સાથે ત્રિમૂર્તિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આ દર્દીનું વજન ૨૨૦ કિલો છે અને બ્લેડપ્રેશર ૬૦ જેટલું ઓછું જ હતું. દર્દીને ડો. ડી. પી. ચિખલિયાએ તપાસ કરતા સર્જરીની જરૂર જણાતા તેમના પરિવારજનોને જાણ કરી અને પરિવારે સર્જરીની સંમતિ દર્શાવી હતી. આ મહિલાને દાખલ કરીને બી.પી. અને શ્વાસ સંતુલિત કરવામાં આવ્યા. એ પછી ઉંડાણપૂર્વકની મેડિકલ તપાસ કરતાં આંતરડામાં કાણું હોવાનું જણાયું પછી તાત્કાલિક ઓપરેશન માટે પગલાં લેવાયાં હતાં. તેમનું ૨૨૦ કિલો વજન હોવાથી તેઓને ડઝનેક લોકો દ્વારા ઊંચકીને ઓપરેશન થિએટરમાં લાવી શકાયા હતા.
ઓપરેશન થિયેટરમાં બે ટેબલ ભેગા કરીને તેમને અત્યાધુનિક સાધનોના ઉપયોગથી બેભાન કર્યા હતા. ત્યારબાદ ડો. ચિખલિયા તથા ડો. અમિત ભુવાએ મોટાં આંતરડાંની સર્જરી કરીને પેટમાંથી ૪ લીટર રસી કાઢી હતી. એ પછી દર્દીની તબિયત હાલમાં સુધારા પર જણાય છે.

