બારડોલીઃ તાપી જિલ્લાનાં માંડળ ગામના રહીશ રણજીત ગામીત (ઉં.વ. ૩૫) જાન્યુ, ૨૦૧૬માં પેટના દુ:ખાવાની ફરિયાદ પછી વ્યારાની મહાવીર હોસ્પિટલમાં દાખલ થયા હતા. દર્દીને મસાની બીમારી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. દર્દીનું ડો. મોન્ટુ કોઠારીએ ઓપરેશન કર્યું હતું બાદમાં તેમનું મોત થયું હતું. સામાન્ય એવી મસાની બીમારીથી મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ અને તબીબ સામે કેસ દાખલ કરતાં ખાનગી હોસ્પિટલના બે તથા સિવિલ હોસ્પિટલનાં બે એમ કુલ ચાર તબીબ સામે ગુનો નોંધીને પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડો. મોન્ટુ કોઠારી, સિવિલ સર્જન ડો. નૈતિક ચૌધરી અને ડો. દિવ્યેશ શાહની ધરપકડ કરી આ ત્રણેયને સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે પોસ્ટમોર્ટમ કરનાર તબીબની બેદરકારી સાથેની આ પ્રકરણમાં સંડોવણી બહાર આવી હોવાથી પોલીસે તેની પણ ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
