નવીદિલ્હીઃ એસીઈઆરટીનાં ૧૨માં ધોરણનાં પુસ્તકોમાં મોટા ફેરફાર થશે. આ ફેરફારમાં એનસીઈઆરટીનાં પુસ્તકોમાં વર્ષ ૨૦૦૨માં થયેલા રમખાણોને ‘મુસ્લિમ વિરોધી’ રમખાણોને ન કહેતાં હવે ‘ગુજરાતનાં રમખાણો’ તરીકે જ તેનો ઉલ્લેખ થશે. કોર્સ રિવ્યૂ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન (સીબીએસઈ) અને એનસીઈઆરટીના પ્રતિનિધિ સામેલ હતા. એનસીઈઆરટીના એક અધિકારીએ કહ્યું કે સીબીએસઈ દ્વારા આ મુદ્દો ઉઠાવાયો હતો. આ વર્ષના અંતમાં પ્રિન્ટ થનારાં પુસ્તકોમાં આ ફેરફાર સામેલ થશે.
શેમાં થશે ફેરફાર?
ધોરણ ૧૨નાં પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સમાં ‘એન્ટિ મુસ્લિમ રાયોટ્સ ઇન ગુજરાત’ શીર્ષક સાથે ફકરો અપાયો છે. સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૦૨ના રમખાણોમાં ૮૦૦ મુસ્લિમ અને ૨૫૦થી વધુ હિન્દુ માર્યા ગયાં હતાં. તે ફકરાને હવે ‘ગુજરાત રાયોટ્સ’ શીર્ષક સાથે મુકાશે.

