સાત-સાત હાથીની તાકાત પણ નથી ચસકાવી શકી કૃષ્ણના આ બટર બોલને

Wednesday 01st February 2017 05:56 EST
 
 

મહાબલિપુરમ્ઃ દુનિયામાં ઘણાં રહસ્યો એવા છે કે જે આજે પણ વણઉકેલ છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી પણ તેનો તાગ મેળવી શક્યા નથી. તમિળનાડુના મહાબલિપુરમમાં આવેલા રહસ્યમય પથ્થરનું પણ કંઇક આવું જ છે. ૨૦ ફૂટ ઊંચો અને પાંચ ફૂટનો ઘેરાવો ધરાવતો આ વિરાટકાય પથ્થર એટલો તો વજનદાર છે કે સાત-સાત હાથીઓની તાકાત પણ તેને રતિભારેય ચસકાવી શકી નથી. આ પથ્થર કેટલો જૂનો છે એ કહી શકાય તેમ નથી, પણ સ્થાનિક લોકોના મતે આ પથ્થર ખરેખર તો કૃષ્ણની બાલ્યાવસ્થા સમયનો બટર બોલ (માખણનો દડો) છે.
આ પથ્થર વિચિત્ર રીતે પડયો છે એ જાણીને ૧૯૦૮માં એક અંગ્રેજ અધિકારીએ તેને હટાવવા માટેનો આદેશ આપ્યો હતો. લોકોથી ના ખસ્યો એટલે પછી હાથીની મદદ લેવામાં આવી. એક હાથીથી પણ કામ ન થયું એટલે પછી બે હાથીને કામે લગાવાયા. તો પણ પથ્થર ન ચસક્યો. આથી ત્રીજો હાથી તેની સાથે જોડવામાં આવ્યો. તો પણ કામ પાર ન પડ્યું. આમ કરતાં કરતાં સાત-સાત હાથીઓને જોડવામાં આવ્યા, પણ પથ્થર તેની જગ્યાએ સ્હેજ પણ ખસ્યો નહોતો. જોવા જેવી વાત એ છે કે આ પથ્થર સાવ જમીનની સપાટી પર છે. જમીનમાં ખોંસાયેલો હોય એવો ય કોઈ આધાર નથી. આમ આ પથ્થર પ્રાકૃતિક રીતે જ ત્યાં પડયો છે કે પછી ક્યારેય કોઈ માનવીએ ત્યાં લાવીને મૂક્યો હશે એ પણ ચોક્કસ કહી શકાતું નથી. આ પથ્થર વિજ્ઞાનીઓ માટે પણ રહસ્ય બન્યો છે.
સ્થાનિક દંતકથા અનુસાર શ્રીકૃષ્ણ જે માખણ ખાતા હતા એમાંથી જે માખણ પડી જતું તે બધું એકઠું થઈને આ પથ્થર બન્યો છે. આથી જ તેને શ્રીકૃષ્ણનો માખણનો દડો એવું નામ પણ અપાયું છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે આ પથ્થરની કથા જોડાયેલી છે. અને અધૂરામાં પૂરું, તેને સાત-સાત હાથીઓનું બળ પણ ખસેડી શક્યું નથી એટલે લોકો ખૂબ ભાવપૂર્વક તેને જોવા આવે છે.


comments powered by Disqus