સંઘના નેતા તરીકે ઇચ્છીશ કે રામ જન્મભૂમિ ઝડપથી મંદિર બને: ભાગવત

Wednesday 26th September 2018 06:46 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૧૮મી સપ્ટેમ્બરે મોહન ભાગવતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અંગે તેમનું નામ લીધા વગર કહ્યું હતું કે, સરકાર નાગપુરથી ચાલતી નથી તો બેઠકના ત્રીજા દિવસે સંઘના વડાએ પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યો હતો કે સંઘના નેતા તરીકે ઇચ્છું છું કે રામમંદિર જલદી બને. ઉપરાંત શિબિરમાં મોહન ભાગવતે રિલિજિયન અને હિંદુઈઝમ શબ્દ અંગે પણ વિચાર વ્યક્ત કર્યા હતા.

રિલિજિયનનો અનુવાદ

હિંદુત્વ વિશે ભાગવતે કહ્યું હતું કે, હિંદુત્વનો વિચાર સંઘે નથી શોધ્યો, પરંતુ પહેલેથી પ્રસ્થાપિત થયેલો છે. દુનિયા સુખની ખોજ અંદર કરી રહી હતી ત્યારે ભારત એ શોધ અંદર કરી રહ્યું હતું. એ શોધમાંથી જ આપણા પૂર્વજોને અસ્તિત્વની એકતાનો મંત્ર મળ્યો. આજે લોકો હિંદુત્વને સનાતન ધર્મ કહે છે. નવમી સદીમાં લોકભાષામાં અને વિદેશી વિચારકોના આગમન સાથે આપણા ગ્રંથોમાં હિંદુ શબ્દ આવ્યો. ત્યાર પછી સંતો થકી તે પ્રચલિત થયો. ધર્મ શબ્દ ભ્રામક છે. આ શબ્દ ભારતીય ભાષામાં જ છે. રિલિજિયનનો અનુવાદ ધર્મ ના કરી શકાય. ધર્મશાસ્ત્ર ફક્ત હિંદુઓ માટે નથી, સમગ્ર માનવજાતિ માટે છે. ભારતના ધર્મો તો હિંદુ શબ્દ ઉદ્ભવ્યો એ પહેલાં જ સર્જાયા હતા. આપણે અનેક વિવિધતાઓને લઈને એક રાષ્ટ્ર અને એક સમાજને સાથે લઈને ચાલી રહ્યા છે. તેની સરખામણી પાશ્ચાત્ય દેશો સાથે ના થઈ શકે. કહેવાય છે કે, કમાણી કરવી એ મુખ્ય નહીં પણ તેની વહેંચણી મુખ્ય બાબત છે. દેશભક્તિ, પૂર્વ ગૌરવ અને સંસ્કૃતિ હિંદુત્વના ત્રણ પાયા છે.

મુસ્લિમોની હકાલપટ્ટી નહીં

સંઘના વડાએ કહ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રનો અર્થ મુસ્લિમોને કોઈ જ સ્થાન નહીં એવો બિલકુલ નથી થતો. હિંદુત્વનો અર્થ જ તમામ લોકોની શ્રદ્ધાઓનો સ્વીકાર એવો થાય છે. હિંદુત્વ એ ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો આત્મા છે. તેનો હેતુ જ વૈશ્વિક બંધુત્વની ભાવના મજબૂત કરવાનો છે. બંધુત્વનો વૈશ્વિક સિદ્ધાંત જ વિવિધતામાં એકતા છે. હિંદુત્વ એ ભારતીયતાનો સમાનાર્થી છે. જે તમામ ધર્મના લોકોને લાગુ પડે છે અને તે જ આપણી વૈવિધ્યતામાં એકતાનું દર્શન કરાવે છે. હિંદુત્વ વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ કરે છે.
સંઘ પણ ‘સર્વે સુખિનો સન્તુ’માં માને છે. ભલે તે હિંદુત્વ આધારિત હોય પણ તેમાં બધી જ શ્રદ્ધાઓની વાત કરાય છે. આપણે અનેક રાજ્યો, ભાષાઓ અને જાતિઓમાં વહેંચાયેલા હોવા છતાં ભારત માતાને ચાહીએ છીએ અને વૈશ્વિક માનવીય મૂલ્યોમાં વિશ્વાસ કરીએ છીએ.

હિંદુત્વને હિંદુઇઝમ કહેવું ખોટું

ભાગવતને પુછાયેલા પહેલા જ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, હિંદુત્વને હિંદુઇઝમ કહેવું ખોટું છે. સત્યની નિરંતર શોધનું નામ હિંદુત્વ છે. સતત ચાલનારી પ્રક્રિયા છે. તેને કારણે જ આ શબ્દને હિંદુઇઝમ ન કહી શકાય. હિંદુત્વ જ છે જે સૌથી સાથે તાલમેલનો આધાર બની શકે છે. ભારતમાં રહેનારાં લોકો હિંદુ જ છે. કેટલાંક લોકો હિંદુત્વ વિશે જાણે છે પણ તેના વિશે વાત કરતાં સંકોચ અનુભવે છે. ભારતમાં ક્યાંય પારકા અને પોતાના તેવા અભિગમ રાખવામાં આવતા નથી. આવા અભિગમ અમે ક્યારેય બનાવ્યા જ નથી.


comments powered by Disqus