વડોદરાના જાણીતા સેવાભાવી ડો. લીલાબેન ભૂપેન્દ્રભાઈ પટેલનું તા. ૨૩.૪.૧૮ને સોમવારે નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. તેમનો જન્મ તા. ૧ જૂન ૧૯૩૫ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના જલગાંવમાં થયો હતો. ૧૯૫૩માં તેમણે જલગાંવની આલ્ફ્રેડ ગાડને હાઈસ્કૂલમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે એસએસસી પાસ કરી હતી. પૂના યુનિવર્સિટીમાંથી તેમણે ૧૯૬૨માં એમબીબીએસ અને ૧૯૬૭માં એમડીની ડિગ્રી મેળવી હતી. ૭ જુલાઈ ૧૯૬૫ના રોજ તેમના લગ્ન ભૂપેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ સાથે થયા હતા. ડો. લીલાબેને વડોદરામાં પ્રભુલી હોસ્પિટલ સ્થાપી હતી.
તેઓ બ્રેસ્ટ ફિડીંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્ડિયા, રેડ ક્રોસ સોસાયટી, સેન્ટ જહોન એમ્બ્યુલન્સ ઓફ ઈન્ડિયાના સક્રિય આજીવન સભ્ય હતા. તેમણે પતિ સાથે મળીને વડોદરાની કાશીબા ચીલ્ડ્રન હોસ્પિટલમાં મધર્સ મિલ્ક બેંક શરૂ કરી હતી. તેમણે વડોદરા અને તેની આસપાસના વિસ્તારોની એર ફોર્સની તથા ગવર્નમેન્ટ અને સેમી ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં સેવા આપી હતી. તેઓ વડોદરા અને તેની નજીકના વિસ્તારોની વિવિધ સહકારી બેંકો અને સામાજિક સંસ્થાઓના બોર્ડ મેમ્બર રહ્યા હતા. તેમણે નિધન પછી ચક્ષુદાન કર્યું હતું.
તેઓ ઈસ્કોન, વ્રજધામ, શ્રી વલ્લભ સેવા ટ્રસ્ટ, દિવ્ય જીવન સંઘ સહિત ઘણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના સંતાનોમાં બેલાબેન કિશોરભાઈ કોરડે અને પરાગભાઈ પટેલનો સમાવેશ થાય છે. સંપર્ક. પરાગભાઈ પટેલ + 91 98255 67444

