જોધપુરઃ આસારામના એક સમયના અંગત અનુયાયીએ કોર્ટ નિવેદનમાં જણાવ્યું હતું એ પ્રમાણે આસારામ માનતો કે તેના જેવા બ્રહ્મજ્ઞાનીઓ દુષ્કર્મ કરે તો એ પાપ ગણાય નહીં. સેક્સ પાવર વધારવા આસારામ કેટલીક ગોળીઓ ગળતો હોવાનું પણ સાક્ષીઓએ જણાવ્યું છે. આજીવન કારાવાસની સજા પામેલા આસારામના ૪૫૩ પાનાના જજમેન્ટમાં સાક્ષીઓના નિવેદનોથી કલ્પના થઈ શકે કે પોતાનો બ્રહ્મજ્ઞાની ગણાવતો આસારામ કેવા પાપાચાર આચરતો હતો.
આસારામની વિરુદ્ધમાં કોર્ટમાં ગવાહી આપનારા રાહુલ સાચરે કહ્યું હતું કે તેણે ગુજરાત, રાજસ્થાન, હરિયાણાના આશ્રમોમાં આસારામને છોકરીઓનું જાતીય શોષણ કરતા જોયો હતો. તેણે નિવેદનમાં કહ્યું છે તે પ્રમાણે આસારામ માનતો હતો કે તેના જેવો બ્રહ્મજ્ઞાની રેપ કરે તો એ પાપ ગણાય નહીં. બ્રહ્મજ્ઞાની હોવાથી તેને રેપ કરવાનું પાપ લાગતું નથી. આ સાક્ષીના નોંધ્યા પ્રમાણે આસારામ જાતીય શક્તિ વધારવા માટે ગોળીઓ ગળતો હતો. આસારામ રાત્રે દુષ્કર્મ કરવા માટે ત્રણ છોકરીઓ કુટિરની નજીક રાખતો હતો. તે પછી મોડી રાત્રે તે કોઈ છોકરી ઉપર ટોર્ચની લાઈટ કરી પોતાની નજીક આવવાનો સંકેત આપી તેનું જાતીય શોષણ કરતો હતો.

