શ્રી સ્વામીનારાયણ મંદિર કેન્ટનથી રથયાત્રા નીકળી હતી જે વિવિધ વિસ્તારોમાં ફરીને શ્રી સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોર ખાતે સંપન્ન થઈ હતી. રથયાત્રામાં અંદાજે ૩,૫૦૦ હરિભક્તોએ ભાગ લીધો હતો. કીર્તન અને ધૂનની રમઝટ સાથે રથયાત્રા કેન્ટન રોડ, હનીબોટ લેનથી માર્શ લેન અને ત્યારબાદ સ્ટેનમોર હિલ થઈને અંતે સાડા ત્રણ કલાક ફરીને શ્રી સ્વામીનારાયણ મંદિરે પધારી હતી. મંદિરે શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી બલભદ્ર અને સુભદ્રાજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સૌ હરિભક્તોને મહા પ્રસાદરૂપી ભોજન આપવામાં આવ્યું હતું.
રથયાત્રામાં બોબ બ્લેકમેન, નવીન શાહ અને અન્ય કાઉન્સિલરો સહિત મહેમાનો જોડાયા હતા. રથયાત્રામાં ભારતના શ્રી લક્ષ્મીનારાયણ દેશની ગાદીના અમરાપરના સ્વામી અક્ષરવલ્લભદાસજી અને ધોલેરા મંદિરના મહંત સ્વામી હરિચરણદાસજી પણ સહભાગી બન્યા હતા. તેમણે સૌ શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

