ચીમનભાઈ પટેલ કે નરેન્દ્ર મોદી: નર્મદા ડેમના નિર્માણનું શ્રેય કોને?

Wednesday 18th September 2019 06:29 EDT
 
 

વર્ષ ૧૯૯૫થી અટકાવી દેવાયેલું સરદાર સરોવર બંધનું બાંધકામ આગળ વધારવા સુપ્રીમ કોર્ટે ૧૮ ઓક્ટો. ૨૦૦૦ના રોજ લીલી ઝંડી આપી. મંજૂરી મળતાં જ બંધનું બાંધકામ આગળ વધ્યું ને તેની ઊંચાઈ ૧૩૮ મીટર સુધી લઈ જવાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ની ઉજવણી કરાઈ છે. આ સમયે સવાલ થવો સહજ છે કે આખરે સરદાર સરોવર બંધના નિર્માણનો શ્રેય કોના ફાળે જાય? ઇતિહાસ પર નજર કરતાં માલૂમ પડે કે આ યોજના સાકાર કરવામાં ગુજરાતના તમામ મુખ્ય પ્રધાનોનો ફાળો રહ્યો છે.
ચીમનભાઇની ચતુરાઇઃ વાત નેવુંના દાયકાની છે. નર્મદા બચાવો આંદોલનનાં નેતા મેધા પાટકરે નર્મદા નદીમાં ‘જળસમર્પણ’ની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, ગુજરાતના એ વખતના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે આ મામલાને અત્યંત ચતુરાઈપૂર્વક ઉકેલ્યો હતો. જ્યાં જળસમર્પણ કરવાની મેધાએ ચીમકી આપી હતી એ મણીબેલી માર્ગ બંધ કરી દેવાયો હતો અને તેમની અટકાયત કરી લેવાઈ હતી. એ ચીમનભાઈ જ હતા કે જેમણે કહ્યું હતું જો સરદાર સરોવર બંધ માટે વર્લ્ડ બેન્ક ભંડોળ નહીં આપે તો હું વિદેશમાં રહેતા ગુજરાતીઓ પાસેથી ભંડોળ મેળવી લઈશ. વડા પ્રધાન મોદીએ સરદાર સરોવર બંધની ૧૩૮.૬૮ મીટરની ઊંચાઈનાં જે વધામણાં કર્યાં એ ઊંચાઈની મંજૂરી પણ ચીમનભાઈના કાર્યકાળ દરમિયાન જ મળી હતી.
મેધા સામે ટક્કરઃ સરદાર સરોવર બંધ અને નર્મદા વિવાદના જાણકાર વિદ્વાન વિદ્યુત જોશી જણાવે છે કે અમરસિંહ ચૌધરીએ પુનર્વસન નીતિ રજૂ કરીને બંધનું કામ આગળ વધારવાનું કહ્યું એટલે તુરંત જ મેધા પાટકરનું નર્મદા બચાવો આંદોલન શરૂ થયું. આ મામલે છેક વર્લ્ડ બેન્ક સુધી ધા નંખાઇ. વર્લ્ડ બેન્કને જવાબ આપવાનું કામ ચીમનભાઈએ કર્યું. નર્મદા બચાવો આંદોલનવાળા આયોજન પંચમાં પહોંચ્યા તો ચીમનભાઈ ત્યાંથી પણ મંજૂરી લઈ આવ્યા. પૈસાની જરૂર પડી તો બોન્ડ જાહેર કર્યાં. બંધનો વિરોધ અને આંદોલને વેગ ચીમનભાઈના કાર્યકાળમાં પકડ્યો હતો. તેમણે જ નર્મદા સાથે ગુજરાતની અસ્મિતાને જોડવાનું કામ કર્યું હતું.
ઘટનાપ્રચુર કાર્યકાળઃ ગુજરાતના પૂર્વ પ્રધાન અને એક સમયે આ પ્રોજેક્ટ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા ડો. જયનારાયણ વ્યાસે એક વેબપોર્ટલને જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટના લોન્ચિંગમાં જે ત્રણ વ્યક્તિના ફાળાને હું મહત્ત્વનો ગણો છું એ છે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જ. પટેલ, સનત મહેતા અને ચીમનભાઈ પટેલ. ચીમનભાઈના શાસનમાં જ બંધ વિરુદ્ધનું આંદોલને જોર પકડ્યું હતું. તેમનો કાર્યકાળ ઘટનાપ્રચુર હતો. તેમના કાર્યકાળમાં બંધની ઊંચાઈ ૯૨ મીટરે પહોંચી. તેઓ કહે છે કે આપણા કોન્ટ્રેક્ટરો પાસે આવો વિશાળ બંધ નિર્માણનો અનુભવ નહોતો. પણ આપણે કરી બતાવ્યું. આ બધું ચીમનભાઈ અને સનત મહેતાના કાર્યકાળમાં થયું.’
નરેન્દ્ર મોદીની ભૂમિકાઃ વાત એપ્રિલ ૨૦૦૬ની છે. સરદાર સરોવર બંધની ઊંચાઈની સમીક્ષા કરવા માટે એ વખતના કેન્દ્રીય જળસંસાધન પ્રધાન સૌફુદ્દીન સોઝે રિવ્યૂ કમિટી ઓફ ધ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠક બોલાવી હતી. સરદાર સરોવર બંધની ઊંચાઈ અંગે કેન્દ્ર સરકારના આ વલણ વિરુદ્ધ ગુજરાતના એ વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ૫૧ કલાકનાં ધરણાં પર બેઠા હતા. એ વખતે સરદાર સરોવર બંધની ઊંચાઈમાં વધુ ૧૨ મીટરનો ઉમેરો કરવાથી પૂરતું પાણી અને જરૂરી વીજળી મળી રહેશે એવો દાવો કરાયો હતો. જોકે આની સામે એવો વિરોધ વ્યક્ત થયો હતો કે આવું કરવાથી વધુ લોકો વિસ્થાપિત થશે અને ખેતીની વધુ જમીન ડૂબમાં જશે. મોદીએ બંધના મામલે જળસંસાધન પ્રધાન સોઝ પર ‘બિનજરૂરી હસ્તક્ષેપ’ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
સરદાર સરોવર બંધના નિર્માણમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે વિદ્યુત જોશી જણાવે છે કે કેન્દ્રની મંજૂરી મેળવવા મોદી ઉપવાસ પર બેઠા હતા. મેઇન કેનાલો અને બ્રાન્ચ કેનાલોનાં બાંધકામમાં ઝડપ લાવવાનું કામ મોદીએ કર્યું. બંધની ઊંચાઈ વધારવાનું કામ પણ તેમણે ઝડપથી કર્યું. બંધનું બાંધકામ જે ૧૨૧.૯૨ મીટર પર અટક્યું હતું તેને નરેન્દ્ર મોદીએ પુનર્વસન અને અન્ય પ્રશ્નોના ઉકેલ સાથે ૧૩૮ મીટર પર પહોંચાડ્યું છે. મેઈન કેનાલ અને બ્રાન્ચની કેનાલ ઝડપથી બાંધવાનું અને બંધની ઊંચાઈ વધારવાનું જે કામ હતું તે નરેન્દ્ર મોદીએ ઝડપથી પૂર્ણ કરાવ્યું હતું. જોકે, વર્ષ ૨૦૦૦માં જ્યારે સુપ્રીમ કોર્ટે સરદાર સરોવર બંધનું બાંધકામ આગળ વધારવા માટે લીલી ઝંડી આપી ત્યારે નરેન્દ્ર મોદી ચિત્રમાં ક્યાંય ન હોવાનું વોટર મેનેજમેન્ટ એક્સપર્ટ હિમાંશુ ઠક્કર જણાવે છે.
સપ્તાહમાં અંતિમ મંજૂરીઃ અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તેના એક જ પખવાડિયાની અંદર નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ બંધની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટરથી વધારીને ૧૩૮.૬૮ મીટર સુધી લઇ જવા ‘ફાઇનલ ક્લિયરન્સ’ આપી દીધું હતું. આ ઉપરાંત ૧૭ જૂન ૨૦૧૭ના રોજ ઓથોરિટીએ ૩૦ દરવાજા બંધ કરીને સરદાર સરોવર બંધની જળસપાટી ૧૩૮.૬૮ મીટર સુધી લઇ જવા મંજૂરી આપી હતી.


comments powered by Disqus