લંડનમાં શનિવાર તા. ૧૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ કેન્ટન રીક્રીએશન ગ્રાઉન્ડ ખાતે વન જૈન પાર્ટી, હેરો કાઉન્સિલ અને ટ્રી ફોર સીટીસના સહકારથી ૧૦૦૦ વૃક્ષોનું રોપણ પર્યાવરણ શુધ્ધિ તેમજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કર્યું હતું. વૃક્ષારોપણ દ્વારા ગાંધીજીના અહિંસા, મૈત્રી અને વિવિધતામાં એકતાનો સંદેશ પ્રસારિત કર્યો હતો.
આ પ્રસંગે ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર,શ્રી ચરણજીત સિંહ, હેરોના મેયર કાઉન્સિલર નીતીનભાઇ પારેખ તેમજ કાઉન્સિલરો, ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ ઓફ જૈન્સના ચેરમેન ગેરેથ થોમસ, સ્થાનિક હિન્દુ, ક્રિશ્ચિયન મુસ્લિમ, જ્યૂઇશ, શીખ, ઝોરોસ્ટ્રીયન અને હ્યુમેનીસ્ટ ગ્રૂપોના પ્રતિનિધિઓ સહિત ૨૫૦થી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇન્ટરફેઇથ વીક દરમિયાનના આ કાર્યક્રમમાં બાળકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી ધરતી માના રક્ષણની જવાબદારીનું જ્ઞાન મેળવ્યું અને ‘પીસ’ વિષયક લખાણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો. જૈન શાકાહાર ભોજનનો આસ્વાદ માણી સૌ ગાંધીજીના મૂલ્યોને યાદ કરતા છૂટા પડ્યા