આ વર્ષે લંડન ૩૦૦ કરતાં વધુ વર્ષ અગાઉ રચાયેલા ખાલસા પંથની સ્થાપનાની ઉજવણી કરી રહ્યું છે. મેયર ઓફ લંડને આ વર્ષે વૈશાખીની ઉજવણી ટ્રફાલ્ગર સ્કવેર ખાતે યોજવાની જાહેરાત કરી હતી. ૨૭.૦૪.૨૦૧૯ને શનિવારે બપોરે ૧૨થી ૫ દરમિયાન વૈશાખીની ઉજવણી થશે.
મેયર ઓફ લંડન સાદિક ખાને જણાવ્યું હતું, ‘ ટ્રફાલ્ગર સ્કવેર ખાતે ફરીથી લંડનની વૈશાખીની ઉજવણી થશે તેનો મને આનંદ છે. શીખ સમાજે લંડનના વિકાસમાં આપેલા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક યોગદાન બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું.’
વૈશાખી સ્ટીયરીંગ ગ્રૂપના લવપ્રીત સિંઘ સામરા જણાવ્યું હતું કે શીખ ધર્મમાં વૈશાખીનું ખૂબ મહત્ત્વ છે. ટ્રફલ્ગાર સ્કવેર ખાતે યોજાનારી ઉજવણીમાં લંડનના તમામ લોકો ભાગ લઈ શકશે. તેમાં તમામ વયના લોકોને રસ પડે તેવું કશુંક છે.
શીખ સંસ્કૃતિ અને વીરાસતની ઉજવણીમાં કિર્તન અને ધાર્મિક સંગીત સહિત સ્થાનિક સ્કૂલો દ્વારા લાઈવ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. શીખ સમાજના વોલન્ટિયર્સ દ્વારા પ્રેક્ષકોને લંગરનો લાભ અપાશે. ટ્રફાલ્ગર સ્કવેર ખાતે વિવિધ વાનગીઓના સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે અને કૂકિંગનું ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવશે.
તે ઉપરાંત સ્ક્વેરની મુલાકાતે આવતા લોકોને શીખ સમાજ વિશે દિવસભર સંખ્યાબંધ સ્ટોલ્સ અને દુનિયાભરમાંથી આવલા શીખ કલાકારોના આર્ટ એક્ઝિબિશન દ્વારા ઘણું જાણવા પણ મળશે. શીખ માર્શલ આર્ટ્સ ‘ગટકા’નું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. આ કળા ભારતમાં વિક્સાવાયેલી અદભૂત માર્શલ આર્ટ છે.
બાળકો માટે પણ આર્ટ અને ક્રાફ્ટ્સનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ માટે કોઈ પ્રવેશ ફી નથી.
