BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામીની ૮૬મી જન્મજયંતીની BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ) ખાતે ૨૮ સપ્ટેમ્બરને શનિવારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
યુવકોએ મહંત સ્વામીના સંત તરીકેના ગુણોનું ગાન કરતા ભજનો રજૂ કર્યા હતા.તે પછી સ્વામીઓએ મહંત સ્વામી મહારાજની માનવતા, ભગવાન પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ અને માનવજાત માટે નિઃસ્વાર્થ કરુણાનું વર્ણન કરતાં પ્રવચનો આપ્યા હતા.
ભારતના વિખ્યાત યોગગુરુ યોગાચાર્ય સ્વામી રામદેવજી પણ આ ઉજવણીમાં જોડાયા હતા. તેમણે સભાને સંબોધન કર્યું હતું અને મહંત સ્વામી મહારાજના જીવન અને કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું,‘ અત્યારે મહંત સ્વામી મહારાજમાં પ્રમુખ સ્વામી મહારાજનું દિવ્ય તેજ અને તેમના સદગુણો દેખાય છે.’
ઉજવણીના અંતે સ્વામીઓએ આદર અને સમર્પણના પ્રતીક રૂપે મહંત સ્વામીને પુષ્પ અર્પણ કર્યા હતા.
અગાઉ ૨૩ સપ્ટેમ્બરને સોમવારે પણ તિથિ પ્રમાણે મહંત સ્વામી મહારાજના જન્મદિનની ઉજવણી મંદિરમાં કરાઈ હતી. આ પ્રસંગે પ્રવચનો અને ભજનો સાથે વિશેષ સાયંસભાનું આયોજન કરાયું હતું.
ઉજવણીના ભાગરૂપે ૨૮ સપ્ટેમ્બરે મંદિરમાં મહિલાઓની પાંખ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જીવનના વિવિધ તબક્કે યુવા અને વડીલ હરિભક્તોની આસ્થા, હિંમત અને પ્રતિતીની પ્રેરણાદાયક વાતો બે મહિલાઓ વચ્ચેની ભાવનાત્મક ચર્ચા દ્વારા રજૂ કરાઈ હતી. પ્રભાવશાળી વક્તવ્ય, શોર્ટ સ્કેચ અને વીડિયો ક્લિપ્સના મોન્ટાજના માધ્યમથી સંદેશ રજી કરાયા હતા. યુવતીઓએ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો અને ઉજવણીને અનુરૂપ નૃત્ય સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.