ઝાયડસ કેડિલાની સંપૂર્ણ સ્વદેશી વેક્સિન ‘ઝાયકોવ-ડી’ ટ્રાયલના ત્રીજા તબક્કામાં

Wednesday 09th December 2020 08:00 EST
 
 

અમદાવાદઃ ભારતની અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી હશે.
કોવિડ-૧૯ની સારવાર માટે ઉપયોગમાં લેવાનાર બાયોલોજિકલ ડ્રગના ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)ની મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, બાયોલોજિકલ થેરેપી - પેગીલેટેડ ઈન્ટરફેરોન આલ્ફા-૨બી (PegiHep) માટે ફેઝ-૩ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી છે. હવે આ ડ્રગનું સમગ્ર દેશમાં ૨૦થી ૨૫ સેન્ટરમાં ૨૫૦ દર્દીઓ પર ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે ગયા પખવાડિયે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટોચના ત્રણ ફાર્મા સંસ્થાનોની મુલાકાત લઇને કોરોના વેક્સિન અંગે ચાલી રહેલા સંશોધન અંગે જાણકારી મેળવી હતી. આ ત્રણ સંસ્થાનોમાં ઝાયડસ કેડિલાના બાયોટેક પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરના સીમાડે ચાંગોદરમાં આવેલા કંપનીના પ્લાન્ટ અને રિસર્ચ લેબોરેટરીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેરમેન પંકજ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલ ઉપરાંત વેક્સિન રિસર્ચની કામગીરી સાથે સંકળાયેલા નિષ્ણાતોને મળ્યા હતા. વડા પ્રધાન સમક્ષ સંશોધનની બારિક વિગતોનું આકર્ષક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
ઝાયડસની ટીમને શુભેચ્છાઃ વડા પ્રધાન
મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘મેં વેક્સિન તૈયાર કરી રહેલી રહેલી આખી ટીમને શુભેચ્છા પાઠવી છે. ભારત સરકાર કોરોનાની રસી વિકસાવી રહેલી કંપનીઓને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. વેક્સિન માત્ર સારા આરોગ્ય માટે જ નહીં, વૈશ્વિક સુખાકારી માટે પણ મહત્ત્વની છે.’
વડા પ્રધાનની આ મુલાકાત બદલ આનંદની લાગણી વ્યક્ત કરતા ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે ઝાયડસ કેડિલા ખાતેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે સારવારની જરૂરિયાતોમાં રહેલી ખામીઓ દૂર કરવા, ઊંચા શિખરો સર કરવા પ્રોત્સાહિત કર્યા છે.


comments powered by Disqus