ભારત બંધને મિશ્ર પ્રતિસાદઃ શાહ અને આંદોલનકારીઓની બેઠક અનિર્ણિત

Wednesday 09th December 2020 08:03 EST
 
 

નવી દિલ્હીઃ પાટનગરમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને કિસાન આંદોલનકારીઓના પ્રતિનિધિઓ વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક અનિર્ણિત રહી છે. જોકે કિસાન આંદોલન મામલે કોઈ સકારાત્મક જાહેરાતના અણસાર દેખાઇ રહ્યા છે. છેલ્લાં ૧૨ દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ પહેલી વખત ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મંગળવારે મુલાકાત કરી હતી. આઇસીએઆર ભવનમાં યોજાયેલી આ બેઠકમાં ૧૩ ખેડૂત નેતાઓ પહોંચ્યા હતા.
દરમિયાન આંદોલનકારી કિસાનોએ અગાઉથી કરેલી જાહેરાત મુજબ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને વિપક્ષ કોંગ્રેસ સહિત અનેક યુનિયનઓ સમર્થન જાહેર કર્યું હતું. જોકે આ બંધ શાસક ભાજપ વિર્ુદ્ધ વિરોધ પક્ષનો બની રહ્યો હતો. બંધની અસર ભાજપ શાસિત રાજ્યોમાં બહુ મર્યાદિત જોવા મળી હતી જ્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં તેની વિશેષ અસર જોવા મળી હતી.
અમિત શાહ સાથે બેઠક પછી ખેડૂત નેતા હનન મુલાએ જણાવ્યું કે ગૃહ પ્રધાને કૃષિ કાયદા પર કાલે લેખિત પ્રસ્તાવ આપવાનું આશ્વાસન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે સરકાર કાયદો પરત લેવા માટે તૈયાર નથી. હાલ તો સરકાર સાથે થનારી છઠ્ઠા તબક્કાની બેઠક ટળી છે.
બેઠક પહેલાં ખેડૂતોએ કહ્યું હતું કે કોઈ વચ્ચેનો રસ્તો નથી. અમને ગૃહ પ્રધાન પાસેથી હા કે નામાં જવાબ જોઈએ. ટિકરી બોર્ડર પર ખેડૂતોએ કહ્યું હતું કે કાયદો પરત લેવાની વાતથી અલગ કંઈ જ મંજૂર નથી.
પરદા પાછળ હિલચાલ ચાલે છે?
ભારતીય કિસાન યુનિયન (ટિકેત)ના નેતા રાકેશ ટિકેતે કાલે સિંધુ બોર્ડર પર પંજાબની કિસાન યુનિયનોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સાંજે ૧૩ ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી, જેમાં ટિકેત પણ સામેલ હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાકેશ ટિકેત બેક ચેનલથી સરકાર સાથે વાર્તા કરી રહ્યાં હતા. જોકે સાર્વજનિક નિવેદનોમાં તેઓ એમ જ કહેતા હતા કે કિસાન સંગઠન જે નિર્ણય લેશે, તેમાં તેઓનો સાથે છે અને જ્યાં સુધી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાજીપુર બોર્ડર પર જ અડગ રહેશે. જોકે પડદાની પાછળથી કોઈ વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ મુલાકાતને તે પ્રયાસના પરિણામ તરીકે જ જોવામાં આવી રહી છે.
ખેડૂત મક્કમ - ત્રણેય કાયદા રદ કરો
ટીકર બોર્ડર પર મંચ પાસે ખેડુતોની મોટી ભીડ છે. દિલ્હીથી રોહતકને જોડતા આ હાઈવે ઉપર ટ્રેક્ટર ટ્રોલીઓ ઘણા કિલોમીટર સુધી ઊભી છે. રસ્તાની બંને તરફના ખેડુતો પોતાના યુનિયન ધ્વજ સાથે નારા લગાવતા ચાલી રહ્યા છે. તમામ ખેડુતોએ કહ્યું છે કે તેઓ ત્રણેય કાયદા રદ કરવા કરતા ઓછા કંઇ પણ સ્વીકારશે નહીં.
હરિયાણાના સવા લાખ ખેડૂતોનું સરકારને સમર્થન
સરકાર સાથે ચર્ચા પહેલા હરિયાણાના ખેડૂતો બે ભાગમાં વિભાજીત થઈ ગયા છે. સવા લાખ લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે નવા કાયદાને પરત ન લેવો જોઈએ. હરિયાણામાં ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPOs) સાથે જોડાયેલ ખેડૂતોએ આ વાત કરી છે. જોકે, તેમણે ખેડૂતોના સૂચનો મુજબ કાયદામાં સુધારો કરવાની ભલામણ કરી છે.
હરિયાણા-દિલ્હીની ચાર સરહદો બંધ
દિલ્હી એવા ખેડુતોથી ઘેરાયેલું છે જે ૧૩ દિવસથી વિરોધ કરી રહ્યા છે. હરિયાણાને અડીને આવેલી દિલ્હીની ૪ સરહદો - ટિકરી, સિંઘુ, ઝારોડા અને ધનસા સંપૂર્ણ બંધ છે. બે સરહદો ફક્ત નાના વાહનો માટે ખુલ્લી છે.


comments powered by Disqus