લંડનઃ કોવિડ-૧૯ મહામારીને લીધે આ વર્ષે સામાન્ય અંદાજ કરતાં બમણાં લોકો ક્રિસમસનો સમય એકલાં જ વીતાવશે તેમ આંકડા મુજબ જણાયું હતું. આ ‘એકલતાની મૌન મહામારી’ને લીધે નવેસરથી ચિંતાની લાગણી વ્યાપી છે. આ સમસ્યા ખાસ કરીને ૬૫ અને તેથી ઉપરની વયના લોકોમાં સૌથી વધુ છે. લગભગ ૧.૭ મિલિયન લોકોએ જણાવ્યું હતું કે આ ક્રિસમસના દિવસે તેઓ એકલા રહેશે. પારિવારિક મિલનના આયોજનમાં મહામારી જે હદે સતત અવરોધ ઉભો કરી રહી છે તેને ઓબ્ઝર્વર માટેના નવા ઓપિનિયન પોલના આંકડાએ સમર્થન આપ્યું હતું.
દર વર્ષે પોતાની રીતે ક્રિસમસની ઉજવણી કરતાં લોકોનું પ્રમાણ ૪ ટકા હોય છે જે, આ વર્ષે વધીને ૮ ટકા થયું છે. ૬૪થી વધુની વયમાં આ પ્રમાણ ૭ ટકાથી વધીને બમણું ૧૪ ટકા અથવા ૧.૭ મિલિયન લોકો જેટલું થયું છે. વયસ્કો પૈકી માત્ર ૨૩ ટકાએ જણાવ્યું કે તેઓ આ ક્રિસમસ પેરન્ટ્સ સાથે વીતાવશે, જે સામાન્ય સંજોગોમાં ૩૫ ટકા હોય છે. છમાંથી એક કરતાં ઓછી વ્યક્તિ (૧૫ ટકા)એ પોતાના ભાઈ – બહેન સાથે ક્રિસમસ ઉજવવાની વાત કરી હતી. જે સામાન્ય સંજોગોમાં ૨૭ ટકા હોય છે.
ચેરિટીના ઝો અબ્રામ્સે જણાવ્યું કે મહામારીમાં એકલતાની અસરને નજરઅંદાજ કરી શકાય નહીં. એજ યુકે ચેરિટીના ડિરેક્ટર કેરોલિન અબ્રાહમ્સે જણાવ્યું કે ડિજીટલ ટેક્નોલોજીના કારણે ઘણાં વૃદ્ધ લોકો ક્રિસમસ દરમિયાન પોતાના પરિવારના સંપર્કમાં રહી શકશે. જોકે, ખૂબ ઓછા વૃદ્ધો ઓનલાઈન થઈ શકતા હોવાથી હજારો વડીલો એકલા રહેશે.
બ્રિટિશ રેડ ક્રોસ માટે ઓટમમાં કરાયેલા એક સર્વેમાં જણાયું હતું કે યુકેના વયસ્કો પૈકી ૩૯ ટકાની અગાઉના પખવાડિયામાં કોઈની સાથે સાર્થક વાતચીત થઈ ન હતી અને ૩૨ ટકાએ ચિંતા વ્યક્ત કરી હતી કે તેમને કંઈક થઈ જશે તો કોઈ તેના પર ધ્યાન આપશે નહીં.