યુકેમાં લોકડાઉન દરમિયાન ડિવોર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો

Wednesday 09th December 2020 07:03 EST
 
 

લંડનઃ યુકેમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લીધે પાંચમાંથી એક લગ્નજીવનને લાભ થયો હોવાનું સંશોધનમાં જણાયું હતું. મેરેજ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે ૨૦ ટકા વિવાહિત પેરન્ટ્સને તેમનો સંબંધ મજબૂત બન્યો હોવાનું લાગ્યું હતું જ્યારે માત્ર નવ ટકાએ મહામારી દરમિયાન સંબંધ વણસ્યા હોવાનું કહ્યું હતું.
સંશોધનમાં યુનિવર્સિટી ઓફ એસેક્સ દ્વારા હાથ ધરાયેલા યુકે હાઉસહોલ્ડ લોંગિટ્યુડિનલ સર્વે કોરોના વાઈરસ સ્ટડીના પ્રશ્રોનો જવાબ આપનારા ૨,૫૫૯ પેરન્ટ્સની માહિતીનું વિશ્ર્લેષણ કરાયું હતું. તેમાં જણાયું હતું કે કોરોના વાઈરસની કટોકટી દરમિયાન ઘણાં દંપતીઓના લગ્નજીવનમાં બમણો સુધારો થયો હતો. બીજી તરફ, પરિણીત પિતાઓ પૈકી ૦.૭ ટકા અને ૨.૨ ટકા માતા ડિવોર્સ લેવા વિચારી રહ્યાં હતાં. ડિવોર્સ લેવા વિચારી રહેલા યુગલોનું પ્રમાણ કોવિડ મહામારી પહેલા ૨૦૧૭ – ૨૦૧૯ દરમિયાન જે હતું તેમાં ૬૬ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
મેરેજ ફાઉન્ડેશનના રિસર્ચ ડિરેક્ટર હેરી બેન્સન અને આ રિપોર્ટના એક લેખકે જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે ડિવોર્સમાં વધારો થઈ રહ્યો હોવાના દાવાને અમારો અભ્યાસ ખોટો પાડે છે. દાવાથી તદ્દન વિપરીત, અભ્યાસ મુજબ, યુકેના ૧૨.૮ મિલિયન પરિણીત દંપતીઓ પૈકી મોટાભાગના દંપતીઓને પતિ અથવા પત્ની સાથે સમય વીતાવવાનું લાભદાયક રહ્યું છે. બેન્સને ઉમેર્યું કે નોકરી અને નાણાંની અચોક્ક્સતાને લીધે તેમજ સોશિયલાઈઝ ન થવાથી પેરેન્ટલ રિલેશનશિપમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે.
નેશનલ સર્વેની માહિતીના વિશ્લેષણ મુજબ પરિણીતો પૈકી ૫૦ ટકા વયસ્કોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા પાર્ટનરની પ્રશંસામાં વધારો થયો હતો અને એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હતી.


comments powered by Disqus