વેક્સિનેશન માટે તખતો તૈયારઃ કોરોનાના કેસ ઘટી રહ્યા છે

Wednesday 09th December 2020 07:48 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં વેક્સિનેશન માટે વહિવટી તંત્ર સંપુર્ણ સજ્જ છે. અંતરિયાળ ક્ષેત્રોમાં વેક્સિન માટે કોલ્ડ ચેઈન ડેવલપ કરવા ૧૬૯માંથી ૧૫૦ જેટલા આઈસલાઈન્ડ રેફ્રિજરેટર પણ આવી ગયા છે. આ જાણકારી આપતા ગયા શનિવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, પહેલા તબક્કે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા ૩.૯૬ લાખ હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવશે. જે નાગરિકોને વેક્સિન આપવાની થશે તેમને અગાઉથી સરકાર SMS દ્વારા સ્થળ-સમય-તારીખ જણાવશે.
વેક્સિનના સ્ટોક માટે ૧૬૯ આઈસલાઈન્ડ રેફ્રિજરેટર ઉપરાંત ભારત સરકારમાંથી ૩૦ ડિપ ફ્રીઝ પણ ઉપલબ્ધ થશે. રસીકરણ માટે મતદાન મથકોની જેમ રાજ્યમાં ૪૭,૭૯૬ વેક્સિનેશન સેન્ટર નક્કી કરીને ૧૫,૫૨૪ ટીમ પણ તૈયાર કરી દેવાઈ છે. એમ કહેતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, પહેલા તબક્કે ડોક્ટર, પેરામેડિક સ્ટાફ, આયુષ, ડેન્ટીસ્ટ, એલોપેથી, લેબોરેટરી, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને વિશેષતઃ આશા વર્કર અને આંગણવાડી સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સને રસી અપાશે. બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડ અને સફાઈકર્મી સહિતના ફ્રન્ટલાઈન વર્કરને આવરી લેવાશે. તદ્ઉપરાંત ૫૦ વર્ષથી ઓછી ઉંમર હોય પણ કેન્સર, કિડની, હાર્ટ, ફેફસા, ભારે ડાયાબિટિશ જેવા રોગ ધરાવતા નાગરીકોને પણ અગ્રતામાં સમાવેશ કર્યો છે. કોર ગ્રુપ અને મુખ્ય સચિવના અધ્યક્ષપદે રચાયેલી ટાસ્ફ ફોર્સ મોનિટરિંગ કરશે.
હવામાનને અનુકૂળ વેક્સિન વપરાશે
બ્રિટનમાં ફાઈઝર વેક્સિન માટે સંગ્રહ, પરિવહન માટે માઈનસ ૭૦ ડિગ્રી ટ્રેમ્પરેચરની કોલ્ડ ચેઈન હોવાના અહેવાલો સંદર્ભે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, ઓક્સર્ફ્ડ જે વેક્સિન ડેવલપ કરે છે તેમાં ભારતના ભૌગોલિક વાતાવરણને ખાસ ધ્યાને લેવાય છે. આથી, આપણા હવામાન અને વ્યવસ્થાને આધારે તૈયાર થતી વેક્સિનનો ઉપયોગ પણ થશે.
વેક્સિનેશન માટે તખતો તૈયાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ડિસેમ્બરે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કોરોનાની વેક્સિન થોડા સપ્તાહમાં તૈયાર થઇ જવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ રાજ્યમાં વેક્સિનેશન માટેનું માળખું તૈયાર કરી દીધું છે. કોરોનાની રસીના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ અને જિલ્લા, કોર્પોરેશન કક્ષાએ ૪૧ મળીને કુલ ૪૭ સ્ટોર તૈયાર કરાયા છે. રસીને રાજ્યના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ ઉપલબ્ધ કરાયા છે. આ તમામ સ્ટોર પર ટેકનિકલ ઓડિટ પૂર્ણ કરી દેવાયું છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત સરકાર વેક્સિનેશન માટેની તૈયારીઓ કરી છે.
પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ
પ્રથમ તબક્કે હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવાની હોવાથી તેમનો ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્ય કર્મીઓ અને ૧.૨૫લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થ વર્કર્સની માહિતી તૈયાર રખાઇ છે. બીજા તબક્કામાં પોલીસ, સફાઇ કર્મીઓ, રેવન્યુ કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઇન આપવામાં વોરિયર્સને વેક્સિન આપવામાં આવનાર છે. જેથી તેમની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રેને આપવામાં આવી છે.
સંક્રમણ ઘટતાં કેસની સંખ્યા ઘટી રહી છે
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધ્યું હતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સંક્રમણ ઘટતાં દૈનિક કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વીતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૧,૩૨૫ કેસ નોધાયાં છે, જે છેલ્લા ૧૯ દિવસમાં સૌથી ઓછા કેસ છે. કોવિડ-૧૯ના કારણે વધુ ૧૫ દર્દીના મોત નિપજ્યાં છે. ૭૮ દર્દીઓને નાજુક સ્થિતિના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
૨૦મી નવેમ્બરે ગુજરાતમાં પહેલી વાર કોરોનાના દૈનિક કેસનો આંકડો ૧,૫૦૦ને પાર પહોંચ્યો હતો. ત્યાર બાદ ગત ૨૭મી નવેમ્બરના રોજ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ૧,૬૦૭ કેસ નોંધાયા હતા. હવે દૈનિક કેસનો આંકડો ૧,૪૦૦ને નીચે આવી ગયો છે. વીતેલા ૨૪ કલાકમાં મોતને ભેટનારા દર્દીઓમાં અમદાવાદમાં ૯, સુરતમાં ૩, અમરેલીમાં ૧, રાજકોટમાં ૧ અને વડોદરામાં ૧ દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૧૧૦ થયો છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૪૧૧૦ દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડયો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કુલ ૧૪,૨૭૨ દર્દી સારવાર હેઠળ છે. આજની તારીખે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૯,૨૦૫ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.
દર ૧૦૦માંથી ૬૦ દર્દીને ફેફસાંમાં ઇન્ફેક્શન
સામાન્ય ન્યૂમોનિયા કરતાં કોરોનાના સંક્રમણ બાદ થતો ન્યૂમોનિયા વધુ ઘાતક છે. કોરોનાના સંક્રમણના ગણતરીના દિવસોમાં દર્દીના ફેફસાંને વ્યાપકપણે નુકશાન થાય છે. અમદાવાદ સિવિલના તબીબોનું કહેવુ છે કે, કોરોનાના દર ૧૦૦ દર્દીઓ પૈકી ૬૦ દર્દીઓમાં ફેફસાનું ઓછુવત્તુ ઇન્ફેકશન જોવા મળે છે. જોકે, એક્સ-રે કરતાં સીટી સ્કેનમાં ફેફસામાં કેટલી હદે સંક્રમણ થયું છે તેનુ ચોક્કસ નિદાન થાય છે. સિવિલના રેડિયોલોજી વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. પંકજ અમીનનું કહેવું છે કે, કોરોનાના વાયરસ ગળાના ભાગથી નીચે તરફ ઉતરે જેથી ફેફસામાં ઇન્ફેકશન થાય છે. દર ૧૦૦ દર્દીઓ પૈકી ૬૦ દર્દીઓમાં ફેફસામાં ન્યૂમોનિયાની ઓછાવત્તે અંશે અસર જોવા મળી રહી છે. તેમાંય એક્સ-રે કરતાં સીટી સ્કેનમાં ચોક્કસ નિદાન થાય છે. કોરોના સંક્રમણ બાદ દર્દીના ફેફસાંને ૧૦થી માંડીને ૮૦ ટકા સુધી ઇન્ફેકશન થાય છે. જો તાકીદની સારવાર મળે તો ન્યૂમોનિયાને કાબૂમાં લઇ શકાય છે.
ગુજરાતીઓએ દંડ પેટે રૂ. ૯૩.૫૬ કરોડ ચૂકવ્યા
દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થતાં હોસ્પિટલમાં બેડ તથા આઇસીસીયુ પણ હાઉસફૂલ થઇ ગયા છે અને અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. આમ છતાં પણ લોકોની આદત સુધરતી નથી અને હજુ પણ નાગરિકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે. એટલું જ નહી માસ્ક પણ પહેરતા નથી. પોલીસે માસ્ક નહીં પહેરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આઠ મહિનામાં માસ્ક ન પહેરીને અને જાહેરમાં થુકીને ૨૧.૪૦ લાખ ગુજરાતીઓએ રૂ. ૯૩.૫૬ કરોડ જેટલી માતબરની રકમનો દંડ ચૂકવ્યો છે.
સરકારે લોકડાઉન ઉઠાવી લીધા બાદ ધંધા-રોજગોર રાબેતા મુજબ થતા પુનઃ જનજીવન ધબકતુ થયું હતું. જોકે સરકારે છૂટછાટ આપતાં નાગરિકોએ કોરોનાને હળવાશથી લેવાનું શરૂ કરી દીધું હતું. તેમાંયે ખાસ કરીને દિવાળીના તહેવારોમાં તો લોકો બે ફિકર થઇને ખરીદી કરવા બજારોમાં ઉમટી પડયા હતા.
હાઇ કોર્ટનો હુકમ, સુપ્રીમ કોર્ટનો સ્ટે
રાજ્યમાં માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા માટે મોકલવાના ગુજરાત હાઈ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ આપી દીધો છે. ગયા બુધવારે હાઈ કોર્ટે આદેશ કર્યો હતો કે જે લોકો જાહેર સ્થળો પર માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે તેવા લોકોને કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ વિભાગમાં કમ્યુનિટી સર્વીસ (સમાજસેવા) કરવા માટે મોકલો. આ આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટેની મંજૂરી માગી હતી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, ગુજરાત હાઈ કોર્ટે જે નિર્દેશ આપ્યા છે તે અસંગત છે અને તેના લીધે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, માસ્ક પહેરવું ફરજિયાત છે અને તેનો ભંગ કરનાર પાસેથી કાયદા મુજબ દંડ વસુલવો જોઈએ. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે માસ્ક ન પહેરવું એ ગંભીર સમસ્યા છે, પરંતુ તેમને કોવિડ કેર સેન્ટરમાં સમાજ સેવાના હેતુથી મોકલવા એ ઉકેલ નથી. માસ્ક ન પહેરવાથી જેટલં નુકસાન થશે, તેની સરખામણીએ તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલવાથી વધુ નુકસાન છે.
ગુજરાત રિકવરી રેટમાં પાછળ, મૃત્યુદરમાં આગળ
ગુજરાતમાં ૨ લાખ કરતાં વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં રિકવરી રેટ વધીને ૯૧.૪૬ ટકાએ પહોંચ્યો છે. પરંતુ ગુજરાતની સરખામણીએ દેશના કુલ ૧૨ રાજ્યોનો રિકવરી રેટ વધુ છે. હજુ ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર અન્ય રાજ્યોથી ઓછો છે. તેને સુધારવા માટે આરોગ્ય તંત્રે વધુ મહેનત કરવાની જરૂર છે. આ સિવાય કોરોનાને કારણે મોતને ભેટનારા દર્દીઓ ટકાવારીની દૃષ્ટિએ ગુજરાતમાં વધુ છે. ૨ લાખ કરતાં વધુ કેસ ધરાવતાં દેશના કુલ ૧૭ રાજ્યોમાં ગુજરાતનો મૃત્યુદરમાં બીજો નંબર છે. ૧૫ રાજ્યોમાં ગુજરાત કરતાં મૃત્યુદર ઓછો છે. સૌથી વધુ મૃત્યુદર મહારાષ્ટ્રમાં ૨.૫૭ ટકા છે એ પછી ૧.૮૬ ટકા મૃત્યદર સાથે ગુજરાત બીજા સ્થાને છે. આમ દેશના સૌથી વધુ કેસ ધરાવતાં રાજ્યોની સરખામણીએ ગુજરાત રિકવરી રેટમાં પાછળ રહ્યું છે જ્યારે મૃત્યુદરમાં આગળ જોવા મળ્યું છે.


comments powered by Disqus