ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૪૩ હજારને પાર

Wednesday 15th July 2020 08:36 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં મંગળવારે પણ સતત બીજા દિવસે કોરોના કેસનો આંક ૯૦૦ને પાર નોંધાયો છે. સોમવારે કોરોના સંક્રમિતોનો આંક ૯૦૨ નોંધાયો હતો જ્યારે મંગળવારે તેમાં વધારો થઈને ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૯૧૫ થઈ હતી. ૧૪મીએ છેલ્લાં ૨૪ કલાકમાં ૧૪ લોકોનાં કોરોનાથી મોત અને ૭૪૯ દર્દીઓ સાજાં થયાં હતાં. ૧૪મીએ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક ૪૩૭૨૩ પર પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાથી કુલ ૨૦૭૧ મૃત્યુ અને ૩૦૫૫૫ દર્દી કોરોનામાંથી સાજા થયાનું રાજ્ય આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું. રાજ્યમાં ૧૪મીના છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં કોરોનાના સૌથી વધુ ૨૨૧ અને અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો એવો ૧ કેસ નોંધાયો હતો.
ગુજરાતમાં જુલાઇના ૧૩ દિવસમાં જ કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૦૧૬૦થી વધી ગયો છે. આ ઉપરથી જ ગુજરાતમાં કોરોના વાઈરસથી સર્જાઇ રહેલી ગંભીર સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અમદાવાદ શહેર માટે કોરોનાના કેસની ગતિ ધીમી પડી છે. જોકે, અનલોક-૧ બાદ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં જનતા સ્વયંભૂ બંધ પણ પાળી રહી હોય તેવું દેખાય છે. ખાસ કરીને સુરતમાં કોરોના કેસના આંકડામાં વધારો નોંધાતા સુરતમાં રિંગરોડ પર આવેલી ઘણી ટેક્સટાઈલ માર્કેટ ૧૯મી સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા કલમ ૧૪૪ ૨૯મી જુલાઈ સુધી લંબાવાઈ છે.
કલેક્ટરોને સોશિયલ ડિસ્ટન્સિંગના કડક અમલનો આદેશ
ગુજરાતમાં અનેક નાના શહેરોના વેપારીઓએ સ્વયંભૂ બપોર પછી બજારો બંધ રાખવાના એલાનો આપતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના ચિફ સેક્રેટરી અનિલ મુકીમે તમામ કલેક્ટરને પોતાના જિલ્લામાં સોશ્યલ ડિસ્ટર્ન્સ, ફરજિયાત માસ્કનો કડકાઈ પૂર્વક અમલ કરવા આદેશો ૧૧મી જુલાઈએ આપ્યા હતા.
સુરત, અમદાવાદ જેવા મહાનગરો જ નહી બનાસકાંઠા, ડાંગ, દાહોદ- પંચમહાલ જેવા ઓછી અને છુટી છવાઈ વસ્તી ધરાવતા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ચેપ જેટ વિમાનની ગતિએ ફેલાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના અનેક નાના શહેરો, તાલુકા- જિલ્લા મથકના બજારોમાં વેપારીઓ સ્થાનિક નાગરિકો દ્વારા સામાજિક અંતર ન જળવાતું હોવાથી સ્વમેળે બપોર પછી વેપાર- ધંધા બંધ રાખી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્ય સચિવે તમામ કલેક્ટરોને પોતાના તાબાના શહેરો- ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સથી અર્થતંત્ર ધમધમતું રહે તેના માટે નિયમોનો ચુસ્તપણે અમલ કરવા કહ્યું છે.

ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે?

રાજ્યમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા કેસને કારણે ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉન આવશે તેવી ચર્ચાએ તાજેતરમાં જોર પકડયું હતું. એવી ચર્ચા પણ ફેલાઈ હતી કે, ૩૦મી જુલાઇ સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉન માટે સરકારે તૈયારીઓ કરી પણ લીધી છે.
મુખ્ય સચિવ અનિલ મુકીમે રાજ્યના તમામ કલેકટર સાથે ચર્ચા કરીને કેબિનેટની બેઠકમાં લોકડાઉન મુદ્દે રિપોર્ટ રજૂ કરવાની ચર્ચા સાથે એવા પણ મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા કે કદાચ રાજ્યમાં ફરી લોકડાઉનની સ્થિતિ આવે. જોકે, રાજ્ય સરકારે આ અંગે ખુલાસો કરીને જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉનની હવે કોઇ શક્યતા જ નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સવારથી ૭ વાગ્યાથી માંડીને બપોરના ૨ વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખવા અનુમતિ અપાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક ગામડાઓમાં લોકો સ્વયંભૂ બંધ પાળીને કોરોનાને અંકુશમાં રાખવા મથામણ કરી રહ્યાં છે.
સુરતમાં સતત કોરોના કેર વધી રહ્યો છે ત્યારે રત્ન કલાકારો સહિત અનેક નાગરિકો સૌરાષ્ટ્રમાં પોતાના ગામડાઓમાં જઈ રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે ભાવનગરમાં એક જ દિવસમાં કોરોના કેસની સંખ્યા ૪૦૦ અને જૂનાગઢમાં ૨૦૦થી વધતાં સૌરાષ્ટ્રમાં જ કોરોનાના કેસની સંખ્યા ૨,૮૭૦થી વધતાં સૌરાષ્ટ્રમાં ગભરાટ ફેલાયો હતો. જેથી જૂનાગઢ શહેર સહિતના અનેકવિધ શહેરોમાં ૯મીએ જ જાહેર કરાયું હતું કે, બપોર પછી વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન ન થતું હોવાથી ચેપનો ફેલાવો વધી રહ્યો હોવાના પણ અહેવાલ હતા. ધોરાજી જેવા શહેરોમાં પાનના ગલ્લા પણ બંધ રાખવા માટે નિર્ણય લેવાયો હતો.

સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી સ્વયંભૂ લોકડાઉન

સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પહોંચેલા વતનીઓ કોરોના વાઇરસના કેરિયર્સ બનતાં ચેપનો ફેલાવો જેટની ગતિએ આગળ વધી રહ્યો હોવાનું કહેવાય છે. આ વિસ્તારોની જનતા પણ કહી રહી છે કે બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. કોરોના વાઇરસથી બચવા નાગરિક કેળવણી માટે સ્થાનિક સ્તરે પાલિકા-પંચાયતનું સંચાલન કરી રહેલી ચૂંટાયેલી પાંખ સદંતર નિષ્ફળ રહી છે. આ બધા વચ્ચે ૯મી જુલાઈએ જ ૭૨ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ૧૨થી વધુ શહેરોના વેપારીઓએ સરકારના અનલોક સામે સ્વયંભૂ બપોર પછી બજારો લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. પાટણ, હારિજ, વારાહી, પાલનપુર, મહેસાણા, મોરબી, પાદરા, ડભોઈ, બોડેલી, જૂનાગઢ, સાવરકુંડલા, કેશોદમાં ક્યાંક બપોરે બે વાગ્યા પછી તો ક્યાંક સાંજે પાંચ વાગ્યે જ દુકાનો બંધ કરવા વેપારીઓએ એલાન કર્યું હતું.
અમદાવાદ સાથે આર્થિક-સામાજિક વ્યવહાર ધરાવતા ગાંધીનગર સહિતના ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯મી જુલાઈએ બે હજારથી પણ વધી ગઈ હતી અને ૯૦થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. કડી અને કલોલ જેવા નાના શહેરોમાં પણ મૃત્યુઆંક વધવા લાગતાં આ ક્ષેત્રોમાં વેપારીઓએ બપોર પછી વેપાર- ધંધા બંધ કરવા નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન પાટણ શહેરમાં એક પણ કેસ નહોતો. અનલોકમાં છૂટછાટો વધ્યા પછી હિંગળા ચાચર જેવા ઐતિહાસિક બજારમાં પોઝિટિવ કેસ મળતા પાટણમાં વેપારીઓએ બપોર પછી વેપાર-ધંધા બંધ કરવાનું એલાન કર્યું હતું. એવું જ ઉત્તર ગુજરાતના અન્ય શહેરોનું પણ છે.

ગમે ત્યાં થૂંકનારને રૂ. ૫૦૦નો દંડ

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં કેટલાક લોકો તે પરત્વે બેદરકાર થવા લાગ્યા હોવાનું કહેવાય છે. અમુક તો પાનના ગલ્લે જ પાન ખાઈને ગમે ત્યાં રોડ પર જૂની ટેવ મુજબ પિચકારી મારી દે છે. આ સ્થિતિનો અંત લાવવા મ્યુનિ. તંત્રએ જાહેરમાં માસ્ક ન પહેરનાર તથા થૂંકનારને રૂ. ૨૦૦ દંડમાં વધારો કરીને રૂ. ૫૦૦ કરી નાંખ્યો છે. આ ઉપરાંત મહાપાલિકાએ પાનના ગલ્લા નજીક જ કોઈ ગ્રાહક થૂંકે તો ગલ્લાવાળાને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાશે તેવું પણ જાહેર કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (AHNA)એ માસ્ક નહીં પહેરવા બદલ દંડની રકમ રૂ. ૨૦૦થી વધારીને રૂ. ૧૦,૦૦૦ કરવાની ભલામણ ૧૨મીએ કરી હતી. આ પ્રકારે દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરાશે તો જાહેરમાં માસ્ક પહેરવાના નિયમનું પાલન થશે અને તેના લીધે કોરોના વાઇરસને વધુ વકરતો-ફેલાતો અટકાવી શકાશે. એવું AHNA દ્વારા જણાવાયું અને તાકીદ કરાઈ હતી કે કોરોનાને વકરતો રોકવા દંડની રકમ વધારાય તે જરૂરી છે.
મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષપદે યોજાયેલી આઈએએસ અધિકારીઓની મિટિંગમાં સરકારને એવો અનુરોધ કરાયો હતો કે, આકરા દંડનં માળખું અસરકારક અવરોધક નથી અને દંડની રકમ વધારીને લઘુત્તમ રૂ. ૧,૦૦૦ કરવો જોઈએ. કોરોનાના ચેપી અને જીવલેણ રોગચાળા સામે ઝઝૂમી રહેલા રાજ્યોમાં જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ લાદવામાં દંડનું વિશ્લેષણ કરતાં એવું જોવા મળ્યું હતું કે, ગુજરાતમાં સૌથી ઓછો રૂ. ૨૦૦ દંડ છે અને તમિલનાડુમાં પણ રૂ. ૨૦૦નો જ દંડ નક્કી કરાયો હતો. જ્યારે બાકીના રાજ્યોમાં ઓછામાં ઓછા રૂ. ૫૦૦થી લઈને રૂ. ૧૦,૦૦૦નો દંડ વસૂલાય છે. કેરળમાં સૌથી વધુ રૂ. ૧૦,૦૦૦નો દંડ વસૂલાય છે. એ પછી ગુજરાતમાં દંડની રકમમાં વધારો કરાયો હતો. આ ઉપરાંત પાનના ગલ્લે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનના અભાવ અને લોકો પાન માવો ખાઈને ગલ્લા નજીક થૂંકતા દેખાતાં ૧૩મીથી અમદાવાદ શહેરમાં ૩૦૦થી વધુ પાનના ગલ્લા - દુકાનોને સીલ પણ કરી દેવાયાં હતાં.

ઉમરગામના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રધાનને કોરોના

ગુજરાત સરકારના રાજ્યા કક્ષાના આદિજાતિ રમણ પાટકર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સાતમીએ મોડી સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેટલાક કેબિનેટ પ્રધાનો સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા હોવાનું ચર્ચાય છે. રમણ પાટકરને તાવ આવતાં અમદાવાદની યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે કેબિનેટની બેઠકમાં પણ પ્રધાનો અને અધિકારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. સચિવાલયમાં પ્રધાન મંડળની કચેરીમાં - સ્વર્ણિમ સંકુલમાં પણ સેનિટાઇઝેશન ટનલ જોકે મૂકી જ દેવાઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલાના માતા સાતમીએ કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી તેમના ખબર અંતર પૂછયાં હતાં. ત્યારબાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ રૂપાલાને ફોન કરીને સમાચાર મેળવ્યાં હતાં. વાઘાણીએ એ પછી કોરોનાની સારવાર લઇ રહેલા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, રમણ પાટકર અને સુરતના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાના ખબર પણ પૂછયા હતા.

કોર્પોરેટર જૈમિની દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોખરા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર જૈમિની દવેનો કોરોના રિપોર્ટ પણ ૧૪મી જુલાઈએ પોઝિટિવ આવ્યો છે. જૈમિનીબહેનના પતિ અને પુત્ર પણ કોરોના સંક્રમિત થતાં તેમને ક્વોરેન્ટાઈન કરાયાં છે. નોંધનીય છે કે, જૈમિનીબહેનનો પરિવાર બીજી વાર ક્વોરેન્ટાઈન થયો છે. ત્રણ મહિના પહેલાં જૈમિનીબહેનની પુત્રી વિદેશથી પરત ફરી ત્યારે પણ સમગ્ર પરિવાર હોમ ક્વોરેન્ટાઈન થયો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીના ચેરમેન તથા નવા વાડજ વોર્ડના ભાજપી કોર્પોરેટર જિજ્ઞેશ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જિજ્ઞેશ પટેલને કોરોના પોઝિટિવ થતાં ભાજપના પાંચ જેટલા કોર્પોરેટરને પણ કોરોનાનો ભય ઊભો થયાના અહેવાલ હતા. અગાઉ પણ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા દિનેશ શર્મા પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના અંદાજે ૧૨થી વધુ કોર્પોરેટરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે કોર્પોરેટરના મોત પણ થઈ ચૂક્યાં છે.


comments powered by Disqus