લંડનથી આવેલાં પ્રવાસીઓને ૮ કલાક રઝળપાટ કરવી પડી

Wednesday 20th May 2020 08:52 EDT
 
 

અમદાવાદઃ લંડનથી એનઆરઆઈઓને લઈને ફ્લાઈટ ૧૪મી મેએ મધરાતે ૨.૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. પ્રવાસીઓને એરપોર્ટ પરથી જ સીધા કોરેન્ટાઈન સેન્ટરમાં લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. તેમના માટે પેઈડ અને સરકારી કોરેન્ટાઈન ફેસિલિટીના વિકલ્પો તંત્રએ આપ્યા હતા અને એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને કોઈ તકલીફ ન પડે તે માટે ગાંધીનગર કલેક્ટરે અગાઉ બે નોડલ અધિકારી સહિત નવ અધિકારીઓની સમિતિ બનાવી હતી.
આ સમિતિના અધિકારીઓ ત્રણ બસ લઈને એરપોર્ટ પહોંચ્યા હતા અને પ્રવાસીઓને સામાન સાથે બસમાં ગાંધીનગર લઈ આવ્યા હતા. ગાંધીનગર ખાતે તેમને સેક્ટર-૧૫ ખાતે આવેલી એલડીઆરપી હોસ્ટેલની કોરેન્ટાઈન ફેસિલિટીમાં લઈ જવાયા હતા. સરકારે ઊભી કરેલી આ કોરેન્ટાઈન ફેસિલિટી નિઃશુલ્ક છે અને ત્યાં રહેવા-જમવા ઉપરાંત નિયમિત મેડિકલ ચેકઅપ સહિતની સુવિધાઓ છે.
લંડનથી આવતા મોટાભાગના નાગરિકો માટે ૪૦ ડિગ્રી ગરમી અસહ્ય હોવાથી તેમણે સ્વખર્ચે હોટલની કોરેન્ટાઈન ફેસિલિટીમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે એરપોર્ટ પર તેમને લેવા ગયેલા સમિતિના અધિકારીઓ અન્ય અધિકારીઓને આ જવાબદારી સોંપીને જતા રહ્યા હતા. કોરેન્ટાઈન ફેસિલિટી માટે ગાંધીનગરમાં હોટલો નિયત કરાઈ છે, પરંતુ કઈ હોટલમાં કેટલી જગ્યા છે તેની પૂરતી માહિતી અધિકારીઓ પાસે ન હતી. વિદેશથી આવેલા ભારતીયોને તંત્ર દ્વારા હોટલોની યાદી અને પેકેજની વિગતો અપાઈ હતી, પણ સમિતિના સભ્યોની ગેરહાજરી તથા સંકલનના કારણે સવારે ચાર કલાકે ગાંધીનગર પહોંચેલા નાગરિકો બપોરે ૧૨ વાગ્યા સુધી રૂમ માટે રઝળતા રહ્યા હતા. કેટલાક લોકોએ હોટલના ભાડાને લઈને ભાવમાં ઘટાડા માટે પણ પ્રયત્ન કર્યાં હતાં જેથી હોટલો પસંદ કરવામાં વિલંબ કર્યો હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું અધિકારીઓ જણાવે છે. જોકે લંડનથી આવેલા નાગરિકોના જણાવ્યા મુજબ, સવારે ચાર વાગ્યા ગાંધીનગર પહોંચી ગયા પછી તેમને ૯-૩૦ સુધી બેસી રહેવું પડ્યું હતું. આખરે પ્રવાસીઓએ હોબાળો કરતાં અધિકારીઓ દોડ્યા હતા અને ત્રણ કલાકમાં હોટલના રૂમ નક્કી થઈ ગયા હતા. લંડનથી આવેલા નાગરિકોમાં કેટલાક સિનિયર સિટિઝન પણ હતા અને આ રઝળપાટથી તેમની હાલત કફોડી થઈ હતી. કોરેન્ટાઈન ફેસિલિટીના બદલે અન્ય સ્થળે જવા પણ કોઈને મંજૂરી અપાઈ ન હતી તો વિદેશથી આવેલા કેટલાક વગદારોને તંત્ર દ્વારા વિશેષ છૂટ અપાઈ હોવાના આક્ષેપ પણ થયા હતા.
બીજી બાજુ અધિકારીઓ કેટલાક નાગરિકોને આ વિલંબ માટે જવાબદાર ગણાવતા દાવો કર્યો હતો કે, કેટલાક નાગરિકો હોટલની વ્યવસ્થા પણ સરકાર તરફથી થાય તેવો આગ્રહ રાખ્યો હતો. જેથી તેમની સમજાવવામાં સમય લાગ્યો હતો. જોકે પ્રવાસીઓ પાસે પૂરતી માહિતી ન હોવાના પણ અહેવાલ હતાં.


comments powered by Disqus