બેરોનેસ વર્માએ યુગાન્ડા ડીલમાં આચારસંહિતા ભંગ મુદ્દે માફી માગી

Wednesday 21st October 2020 06:52 EDT
 
 

લંડનઃ પૂર્વ એનર્જી મિનિસ્ટર બેરોનેસ સંદીપ વર્માએ યુગાન્ડા ડીલમાં મિનિસ્ટર્સની આચારસંહિતાનો ભંગ કર્યાના ઈનકાર પછી નિયમો વિશે ગેરસમજ થયાનું જણાવી માફી માગી છે. બેરોનેસ વર્મા અને તેમના પરિવારની ફર્મે યુગાન્ડા સરકારને સોલાર પાવરના ઉપકરણો પૂરાં પાડવા લાખો પાઉન્ડના સોદા પર સહીઓ કર્યાનું કહેવાય છે જેમાંથી, મિનિસ્ટર આચારસંહિતાનો ભંગ થયાનો મુદ્દો ઉઠ્યો હતો.
ગાર્ડિયન અખબારના અહેવાલ અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમરાવની યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની સાથે બેઠકો પછી તેમની કંપની નેક્સસ ગ્રીન દ્વારા ૮૮ મિલિયન પાઉન્ડથી વધુના બે સોલાર ડીલ પર સહી કરાઈ હતી. લેડી વર્મા ૨૦૧૨થી ૨૦૧૫ના ગાળામાં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ ક્લાઈમેટ ચેન્જમાં અને તે પછી, મે ૨૦૧૫થી જુલાઈ ૨૦૧૬ના ગાળામાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ વિભાગમાં જુનિયર મિનિસ્ટર હતાં. તેઓ અત્યાર સુધી કહેતાં આવ્યાં હતાં કે આ સોદાઓ વિશે એડવાઈઝરી કમિટી ઓન બિઝનેસ એપોઈન્ટમેન્ટ્સને માહિતી આપવાનું તેમના માટે જરુરી ન હતું. જોકે, સમિતિના પત્રો અનુસાર આ ફર્મમાં ડાયરેક્ટર તરીકે તેમની ભૂમિકાની માહિતી ન આપી તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો જે બદલ તેમને ઠપકો અપાયો હતો. હવે બેરોનેસ વર્માએ પાર્લામેન્ટરી વોચડોગ સમક્ષ માફી માગતાં જણાવ્યું હતું કે નિયમો સમજવામાં તેમજ સલાહ મેળવવામાં અને તેમની ભૂમિકા વેતન વિનાની, સલાહકારી અને સત્તા વિનાની હોવાનું ભારપૂર્વક જણાવતાં રહેવામાં તેમની ભૂલ થઈ હતી. લેડી વર્મા અને તેમનો પુત્ર રિક્કી નેક્સસ ગ્રીનના ડાયરેક્ટર્સ છે અને તેમને અગાઉ ઈન્ડસ્ટ્રીનો કોઈ અનુભવ નથી. છતાં, તેઓ સરકારી ડિપાર્ટમેન્ટ યુકે એક્સપોર્ટ ફાઈનાન્સની લોન સાથે યુગાન્ડા સરકાર સાથે સોલાર ડીલ્સ કરી શક્યા હતા.


comments powered by Disqus