કુરાલી ગામે નાયબ મુખ્ય પ્રધાન પર ચંપલ ફેંકાયું!

Wednesday 28th October 2020 08:33 EDT
 
 

વડોદરાઃ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં કરજણ બેઠક પરના પ્રચાર અર્થે ૨૬મી ઓક્ટોબરે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કુરાલી ગામે હતા. એ સમયે નાયબ મુખ્ય પ્રધાન પર ચંપલ ફેંકાયું હતું. આ બનાવના પગલે રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી ગઈ હતી તો પોલીસ અને ભાજપી કાર્યકરો ચંપલ ફેંકનારની શોધમાં લાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજ અને ફોટોગ્રાફ્સના આધારે અહેવાલો હતા કે, ચંપલ ફેંકનાર યુવક ભાજપનો જ કાર્યકર છે અને તે માનસિક રીતે અસ્વસ્થ છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર છે. તેમના પ્રચાર માટે કુરાલી ગામે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જાહેરસભા હતી. આ સભામાં મંચ પર વડોદરાના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન, આણંદના સાંસદ અને પૂર્વ સાંસદ, ગૃહ રાજ્ય પ્રધાન, ભરૂચના સાંસદ, કરજણ ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર હતા. ભાજપના કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો કે, પોલીસની હાજરીમાં આ બનાવ બન્યો હોવાથી પોલીસ સામે કાર્યવાહી થવી જોઇએ.

જરાય વિચલિત ન થયા

નાયબ મુખ્ય પ્રધાને ગુંડાધારા, કરજણ શુગર તેમજ વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ તેના ધારાસભ્યો સાચવી શકતી નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. સભા પૂરી થયા બાદ નીતિન પટેલ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ચંપલ ફેંકાયું હતું. જોકે ચંપલ એક ચેનલના બૂમ માઇક પર પડયું હતું અને નીતિન પટેલને વાગ્યું નહોતું. આ બનાવ બાદ નીતિન પટેલે વિચલિત થયા વગર જ કાર્યકરો - મીડિયા સાથે વાતચીત ચાલુ રાખી હતી.
પોતાના પર ચંપલ ફેંકાયું હોવાનું નીતિન પટેલે જોયું હોવા છતાં પણ એ વખતે તેઓએ સ્વસ્થતા કેળવીને મીડિયા સાથે નર્મદાના મુદ્દે, ખેડૂતોના પ્રશ્નો મુદ્દે વાત કરવાની ચાલુ રાખી હતી. એ પછી તુરંત જ શિનોર તાલુકાના મોટાફોફળિયા ગામે પ્રચાર માટે જવા નીકળી ગયા હતા.


comments powered by Disqus