સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાન સભાની આઠ બેઠકની પેટા ચૂંટણી સામે ઊભી છે ત્યારે ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટિલે પલટી મારી છે. કોંગ્રેસના એક પણ આગેવાનને હમણાં ભાજપમાં નહીં લેવાનું કહેતાં કહેતાં પાટિલે કેટલાય કોંગ્રેસીઓને પોતાના પક્ષે કરી લીધાં છે. આ પેટાચૂંટણી દરમિયાન ભાજપે કોંગ્રેસના અનેક નાના-મોટા આગેવાન કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી દીધો છે. સોમવારે વધુ એક પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન અને કોળી સમાજના નેતા લાલજી મેરને ભાજપમાં પ્રવેશ આપી સી. આર. પાટિલ પોતાના જ નિવેદન પરથી ફરી ગયા છે.
ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે
પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમમાં પાટિલે કોંગ્રેસના કાર્યકરો માટે ભાજપમાં હવે ‘નો એન્ટ્રી’ હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ચૂંટણી જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય. ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને ભવ્ય જીત પ્રાપ્ત કરે એ જ આપણી આવડત છે. એના માટે આપણે કોઇની મદદ લેવાની જરૂર નથી. આમ કહીને પાટિલે આડકતરી રીતે કોંગ્રેસ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાનો ઇશારો કરી દીધો હતો. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પણ તેમણે સોમનાથમાં કહ્યું હતું કે, હવે કોંગ્રેસના કોઈ તકસાધુ નેતાની ભાજપને જરૂર નથી.
લાલજીને લીલું સિગ્નલ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ છે. એ ઉપરાંત મત પણ વધારે છે ત્યારે હાલમાં રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકમાંથી એક લીંબડી બેઠક પર પણ કોળી સમાજના મતદારો વધારે છે ત્યારે કોળી સમાજમાં પોતાનું પ્રભુત્વ ધરાવતા લાલજી મેરને ભાજપમાં સમાવીને લીંબડી બેઠક પર મત મેળવી શકાય એ માટે તેમને પક્ષમાં સમાવી લેવામાં આવ્યા છે.
લાલજી મેરનો વારંવાર પક્ષપલટો
લાલજી મેર ૨૦૦૯માં ભાજપની ટિકિટ પર સુરેન્દ્રનગર સીટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, તેમની સામે કોંગ્રેસના સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો વિજય થયો હતો. ત્યાર બાદ લાલજી ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભાજપમાં ૨૦૧૭ સુધી રહ્યા, પણ ૨૦૧૭માં તેમને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ન મળતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને ૨૦૧૮માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.