સૌથી ઘાતક બોર્ડર હરામીનાળા ત્રણ બાજુથી સીલઃ બીએસએફએ આખરી છેડા સુધી રોડ બનાવ્યો

Wednesday 02nd September 2020 07:05 EDT
 
 

હરામીનાળા ઝીરો પોઇન્ટ: ભારતની સરહદી સુરક્ષાની જવાબદારી સંભાળતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ કામ કરી દેખાડ્યું છે જે અત્યાર સુધી અસંભવ ગણાતું હતું. ગુજરાતની પશ્ચિમ બોર્ડરની સૌથી ઘાતક સરહદથી પાકિસ્તાનની ઘૂસણખોરીને સંપૂર્ણપણે બ્લોક કરી દીધી છે. પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું હરામીનાળું ઘૂસણખોરી માટે સરળ રસ્તો મનાતો હતો. એટલે સુધી કે પાકિસ્તાની માછીમારો પણ આ રસ્તેથી ભારતીય સરહદમાં ઘૂસી આવતા હતા, પણ હવે આ શક્ય નહીં બને. કેમ કે કળણવાળી જમીન ધરાવતા હરામીનાળા કે જ્યાં સુરક્ષા કરવી મુશ્કેલ હતી ત્યાં સુધી બીએસએફએ સતત પ્રયાસ કરીને ૨૨ કિલોમીટર લાંબો ફ્લડ લાઇટથી સજ્જ રોડ બનાવી દીધો છે. આ રોડ હરામીનાળાના છેડા સુધી જાય છે અને રોડના કિનારે જ વોચ ટાવર અને પોસ્ટ (બીઓપી) ઊભા કરી દેવાયા છે.
આમ હવે કોઈ પાણીના માર્ગે ઘૂસણખોરી કરશે તો ટાવર કે પોસ્ટ પર બેઠેલો જવાન તેને ગોળી ધરબી દેશે કાં તો તે પકડાઈ જશે. આ સફળતા મોટી છે કેમ કે ગુજરાત સાથેની ભારતીય સરહદ પર અહીં ૪ હજાર ચોરસ કિલોમીટર કળણવાળી જમીન છે અને તેમાં જ ૯૨ કિલોમીટર લાંબો સરક્રીક વિસ્તાર છે. પાકિસ્તાન શરૂઆતથી સરક્રીક પર પોતાનો કબજો ગણાવે છે.

સૌથી પડકારજનક

સુરક્ષાની દૃષ્ટિએ સિયાચીન બાદ ભારતની સૌથી પડકારજનક સરહદ સરક્રીક જ રહી છે અને તેનું જ સૌથી ઘાતક ક્ષેત્ર છે હરામીનાળું. હવે બીએસએફએ હરામીનાળાની ત્રણ તરફથી ઘેરાબંધી કરી લીધી છે. જોકે હજુ કામ અટક્યું નથી. બીએસએફ નાળાની બીજી તરફ ટ્રાઈ જંક્શન પોસ્ટ પણ બનાવી રહી છે. પાકિસ્તાને ચાઇના ડેમથી મીઠા પાણીનું વહેણ અટકાવ્યું તે ઝીરો લાઇનથી આશરે ૩૦ કિમી અંદર એક અન્ય નાળા પર પાકિસ્તાને ૧૯૯૮માં ચીન સાથે મળીને એક ડેમ બંધાવ્યો હતો. તેને ચાઇના ડેમ કહેવાય છે. અહીં સિંધુ નદીનું પાણી અટકાવાયું. તેની નજીકમાં જ હરામીનાળાની ચેનલ શરૂ થાય છે. તેમાં પહેલાં મીઠું પાણી એકઠું થતું હતું, પણ ભરતીને લીધે તેમાં સમુદ્રનું ખારું પાણી એકઠું થવા લાગ્યું. આ ચેનલથી પહેલાં આ પાણી ભારત તરફ આવતું હતું.
પાકિસ્તાન આ સીમાએ ક્યારેક ઘૂસણખોરો તો ક્યારેક માછીમારો મોકલતું હતું. ભારતીય જવાનો એલર્ટ છે કે નહીં તે ચકાસવા તે અનેકવાર ખાલી બોટ પણ ઊભી કરી દેવાતી હતી.
એક અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે આમ ઘૂસણખોરીની ઘણી આશંકા વધી ગઈ હતી. તેના માટે વારંવાર એલર્ટ જાહેર કરાતા હતા. હવે અમે આ નાળાને ત્રણેય બાજુથી સીલ કરી દીધું છે. નાળાના છેડા સુધી રોડ બનાવ્યો છે. નિરીક્ષણ માટે નવું નિર્માણ કામ ચાલુ છે.

પાકિસ્તાનના નાપાક રેન્જર્સ

બીએસએફની હાજરી ન હોવાને લીધે પહેલાં પાકિસ્તાની સરળતાથી હરામીનાળામાં ફિશિંગ અને ઘૂસણખોરી કરતા હતા પણ બીએસએફએ ઈન્ટરનેશનલ બોર્ડરના સહારે બધું અટકાવી દીધું. હરામીનાળાની હોરિજેન્ટલ તથા વર્ટિકલ બંને પ્રવાહની ચેનલને સીલ કરી દીધી છે. મુખ્ય ત્રણ પોઈન્ટથી તેને સીલ કરાતા પાક. અકળાયું છે. આટલી કડકાઇ છતાં પાક. માછીમારો ઝીરો લાઈન સુધી ફિશિંગ કરવા આવે છે. પાક. રેન્જર્સ પોતાના માછીમારોને ૫થી ૧૦ દિવસની ગેરકાયદે પહોંચ આપી હરામીનાળામાં ફિશિંગ માટે મોકલે છે. ભારતીય હદમાં સારી માછલીઓ હોવાથી આ લાલચે પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘૂસી જાય છે.

હવે રાત્રે પણ ઘૂસણખોરી નહીં થાય

પહેલાં હરામીનાળા સુધી પહોંચવા બીએસએફના જવાન ઓલટેરન વ્હિકલ, બોટ અને પગપાળા ચાલીને પહોંચતા હતા. આ સફર ૨૫ કિમી દૂર લખપત કોટથી શરૂ થતી હતી. નહીંતર કોટેશ્વર થઈને આવવું પડતું હતું. ભારતીય બીઓપી પણ લખપત નજીક જ હતી. આટલે દૂરથી નાળા સુધી પહોંચવું જોખમી હતું. વર્ષો સુધી બીએસએફે આ સ્થિતિનો સામનો કર્યો. નાળાની નજીક જવાનોને સ્થાયી રાખવાના ઘણા પ્રયાસ નિષ્ફળ ગયા. આ પછી લખપત કોટથી નાળા સુધી કળણની ઉપર સીધી રોડ ક્નેક્ટિવિટીના આઈડિયા પર કામ શરૂ કરાયું હતું. હવે અહીં વીજળીની લાઈન પાથરવામાં આવી છે અને બોર્ડર સુધી ફ્લડ લાઇટ્સ લગાવવામાં આવી છે.

૫૫ વર્ષમાં દોઢ કિમી પહોળું થયું નાળું

૧૯૬૫થી પહેલાં આ નાળું માંડ ૩૦-૩૫ ફૂટ પહોળું હતું, હવે તેનો ફેલાવો દોઢ કિમી સુધી થઈ ગયો છે. તેનું બીજું નાળું ૭૦૦ મીટર અને ત્રીજું નાળું ૫૦૦ મીટર પહોળું છે. ત્રણેયની ૨૨ કિમીથી વધુ લાંબી ચેનલ છે. ક્રીકમાં ૨ વખત ભારત અને ૨ વખત પાકિસ્તાનની જમીનની અંદર તેનું વહેણ છે. ઘાતક અને અચાનક ઊંડાઈ ઓછી-વધુ થવાને લીધે તેને હરામીનાળું નામ અપાયું. પાકિસ્તાનમાં તેને હરામી ધોરા કહેવાય છે.


comments powered by Disqus