ગાંધીનગર: ગુજરાતમાં કોવિડ ૧૯ કેસોની સંખ્યા વધીને ૬૫ હજારનો આંકડો વટાવી ગઇ છે. મંગળવારે રાજ્યમાં એક જ દિવસમાં ૧૦૨૦ નવા કેસ નોંધાયા તે સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો ૬૫,૭૦૪ થયો છે. જ્યારે વીતેલા ૨૪ કલાકમાં હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૨૫ દર્દીઓ દમ તોડતા આ મહામારીમાં ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક ૨૫૩૪ થયો છે. આમાંથી સુરત કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ આઠ જ્યારે વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૮,૩૫૯ દર્દીઓ
સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ ૧૪૮૧૧ એક્ટિવ કેસ છે, જેમાંથી ૮૭ દર્દી વેન્ટીલેટર પર છે.
કોરોનાને કારણે ભારતમાં કુલ ૩૮,૯૩૮ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક પછી સૌથી વધુ મૃત્યુ ગુજરાતમાં થયા છે. આ મહામારીમાં રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં થયા છે. છેલ્લા એક મહિનાથી સુરતમાં સારવાર હેઠળના દર્દીઓનો મૃત્યુઆંક પણ ઊચકાઈ રહ્યો છે.
ટેસ્ટની સાથે નવા કેસ ઘટયા!
સળંગ ચાર દિવસ ૨૦ હજારથી વધુ RT-PCR ટેસ્ટ થતા રહ્યા છે. આથી ઓછા ટેસ્ટના રિપોર્ટ જાહેર થતા નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ તરફ ચેપના ફેલાવાની ગતિ વધતા મંગળવારની સાંજે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ૧૪,૮૧૧એ પહોંચી હતી. જેમાંથી ૮૭ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવા પડયા છે. અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે પહોંચેલાની સંખ્યા વધીને ૪૮,૩૫૯એ પહોંચી છે.
ભરતસિંહ સોલંકીએ કોરોનાને મહાત આપી
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા હતા. છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ ભરત સોલંકીએ કોરોનાને આખરે મ્હાત આપી છે. વેન્ટિલેટર પર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં ભરત સોલંકીની તબિયતમાં સુધારો થયો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો, નેતા અને કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અચાનક ભરતસિંહને કોરોના થયો હતો. તે વખતે તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ જ્યાં તેમની તબિયત વધુ લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતાં. તેઓ કેટલાય દિવસથી વેન્ટિલેટર પર હતાં. ૪૦ દિવસના અંતે સોમવારે ભરતસિંહને કોરોનામુક્ત જાહેર કરાયા હતા. જોકે, એન્ટિબાયોટિક દવાને કારણે કિડની પર અસર પહોંચી છે, જેથી હવે કિડનીની સારવાર શરૂ કરાઈ છે. કિડનીને અસર પહોંચતાં ડાયાલિસિસ પણ શરૂ કરાયું છે.
ધારાસભ્ય સી. જે. ચાવડાને કોરોના
ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવાડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેમનાં પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેશનમાં ગયાં હતા. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા કુંવરજી બાવળિયા, સેક્શન ઓફિસર સહિતનો સ્ટાફ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયો હતો. શનિવારે સી. જે. ચાવડાના પત્ની પશુપાલન નિયામક અધિકારી ફાલ્ગુનીબહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી સી. જે. ચાવડાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
માસ્ક નહીં તો રૂ. ૫૦૦નો દંડ
ગુજરાત સરકારે પહેલી ઓગસ્ટ - શનિવારથી રાજ્યમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકોને તથા જાહેરમાં થૂંકનારા લોકોને રૂ. ૫૦૦ દંડ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી જાહેરમાં થૂંકનારાને રૂ. ૨૦૦ દંડ થતો હતો. જ્યારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારાને રૂ. ૨૦૦ના બદલે રૂ. ૫૦૦નો દંડ કરવાનો નિર્ણય અમલમાં હતો. ટૂંકમાં આ બે બાબતોમાં દંડ વધારાયો છે અને રાજ્યભરમાં એકસરખો કરાયો છે. મુખ્ય પ્રધાને સમગ્ર રાજ્યમાં પહેલી ઓગસ્ટથી આ દંડની જોગવાઈનો ચુસ્તપણે અમલ કરવા પણ અધિકારીઓને તાકીદ કરી છે.
વિધાનસભા અધ્યક્ષ જાતે તપાસમાં નીકળ્યા!
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સ્વયં વિધાનસભાની અંદર જાત નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. જેમાં બે સેક્શન ઓફિસર સહિત ૪ કર્મચારી માસ્ક વગરના મળતા તેમની પાસેથી રૂ. ૫૦૦ - ૫૦૦નો દંડ વસૂલવા આદેશ કર્યો હતો. આ તપાસમાં ૪ કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર મળ્યા હતા. કોઈ માસ્ક વગર દેખાયું તો રૂ. ૧,૦૦૦નો દંડ વસૂલવા આદેશ કર્યો હતો. તેમણે બે કર્મચારીઓની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ઘરે મોકલી આપ્યા હતા.
ચેકિંગમાં પોઝિટિવ છતાં નાસી જવા પ્રયાસઃ યુએસ જતી મહિલા એરપોર્ટ પરથી ઝડપાઇ
અમદાવાદઃ અમેરિકા જવા હિંમતનગર તરફથી આવેલી મહિલા કોરોના પોઝિટિવ હોવા છતાં એક્સપ્રેસ હાઈવેથી એસપી રિંગ રોડના એક્ઝિટ પોઈન્ટ પરથી ડોક્ટરોને અવગણી સીધી એરપોર્ટ પહોંચી ગઈ હતી. આ મહિલાનો એન્ટિજન ટેસ્ટ કરતાં તે કોરોના પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. જોકે, તેણે અમેરિકાની ફ્લાઈટ મિસ થઈ જશે તેમ કહી ચાલતી પકડી હતી. અંતે પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર તેજસ ભંડારીએ એરપોર્ટ ટર્મિનલ મેનેજર નવીન યાદવને ફોન કરી મહિલા પેસેન્જરની માહિતી આપી હતી.
એરપોર્ટ મેનેજરે તેની ટીમને ઉતારી કારમાં આવેલી કોરોના પોઝિટિવ મહિલાને શોધી કાઢી હતી. તેમજ તેને આઈસોલેટ કરી ૧૦૮ એમ્બુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને ઝડપથી એરપોર્ટ સત્તાવાળા સાથે સંકલન કરતાં અન્ય પેસેન્જરને કોરોનાનો ચેપ લાગવાના જોખમમાંથી ઉગારી લેવામાં આવ્યા હતા.