વિદેશથી આવતા મુસાફરો માટે હવે ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન ફરજિયાત

Wednesday 05th August 2020 07:41 EDT
 
 

અમદાવાદ: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)એ ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. જે અનુસાર હવે વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીએ ૭ દિવસ ઇન્સ્ટિટયુશનલ જ્યારે ૭ દિવસ ઘરમાં જ એમ કુલ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જ્યારે કોરોનાના લક્ષણ ના ધરાવતા હોય તેવા ડોમેસ્ટિક મુસાફરને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે પણ ૧૪ દિવસ જાતે જ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવી પડશે. ગુજરાતના ત્રણ એરપોર્ટ અમદાવાદ - વડોદરા અને સુરત માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગાઇડલાઇન્સ જારી કરી છે. જેના અનુસાર આ ત્રણેય એરપોર્ટમાં આવતા મુસાફરોને સૌપ્રથમ થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. ડોમેસ્ટિક પ્રવાસી એસિમ્પટોમેટિક હશે તો તેને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે, પરંતુ તેમને ૧૪ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સ્વનીરિક્ષણ કરવાની સલાહ અપાશે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ૭ દિવસ ઇન્સ્ટિટયુશનલ અને ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઇન એમ કુલ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જો કોઇ મુસાફર સુરત આવશે તો તેના માટે ‘નોવલ કોરોના સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ’ ભરવા ઉપરાંત ‘એસએમસી કોવિડ-૧૯ ટ્રેકર’ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે. ‘એસએમસી કોવિડ-૧૯ ટ્રેકર’ દ્વારા સ્થાનિક તંત્ર મુસાફરના લોકેશનથી વાકેફ રહી શકાશે.
હવે સ્વખર્ચે જ ક્વોરેન્ટાઇન
નવી ગાઇડલાઇન્સ પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે ઇન્સ્ટિટયુશનલ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. અગાઉ વિદેશથી આવતા મુસાફરોને સરકારી ખર્ચે કે સ્વખર્ચે એમ બે વિકલ્પ આપવામાં આવતા હતા. આ પછી તેમને ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બીમારી હોય, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને આ ક્વોરેન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવેલી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પ્રત્યેક રાજ્ય પ્રમાણે અલગ-અલગ ગાઇડલાઇન્સ છે. મહારાષ્ટ્રમાં આવતા ડોમેસ્ટિક મુસાફરો માટે ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું ફરજીયાત છે. જોકે કોઇ મુસાફર ૭ દિવસમાં જ મુંબઇથી પરત ફરવા માગતો હોય તો તેને હોમ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ અપાઇ છે. જોકે આ માટે તેણે પોતાની કન્ફર્મ રિટર્ન ટિકિટ નોડલ ઓફિસરને દર્શાવવી પડશે.
અમદાવાદ, સુરત, વડોદરા એરપોર્ટ આવતા મુસાફરો માટે ગાઇડલાઇન્સ
વિદેશ કે અન્ય રાજ્યોથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ - સુરત - વડોદરા એરપોર્ટ આવતા મુસાફરો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ગાઇડલાઇન્સ.
• તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ થશે.
• ડોમેસ્ટિક પ્રવાસી એસિમ્પટોમેટિક હશે તો તેને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે. પરંતુ તેમને ૧૪ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સ્વનીરિક્ષણ કરવાની સલાહ અપાશે.
• આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ૭ દિવસ ઇન્સ્ટિટયુશનલ અને ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઇન એમ કુલ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.
• એરપોર્ટમાં આગમન બાદ મુસાફરોને સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ ભરવું પડશે.
• સુરતમાં આવતા મુસાફરો માટે ‘નોવલ કોરોના સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ’ ભરવા ઉપરાંત ‘એસએમસી કોવિડ-૧૯ ટ્રેકર’ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
• તમામ મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
• વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે ઇન્સ્ટિટયુશનલ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.


comments powered by Disqus