વિવાદાસ્પદ રાજનેતા અમરસિંહનું નિધન

Wednesday 05th August 2020 09:22 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા અમરસિંહનું ૬૪ વર્ષની વયે નિધન થયું છે. ભાવનગર નજીક દરેડના રાજવી પરિવારના જમાઈ હોવાથી અમરસિંહ ગુજરાત સાથે પણ નિકટનો નાતો ધરાવતા હતા. રાજનેતા તરીકે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા અમરસિંહ કિડનીની બિમારીથી પીડાતા હતા. સિંગાપોર ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી થોડો સમય તેઓ પુનઃ રાજનીતિમાં સક્રિય થયા હતા. પરંતુ ઈન્ફેક્શનને લીધે કિડનીની તકલીફ નવસેરથી શરૂ થયા બાદ તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. કેટલાંક મહિના પહેલાં તેમણે સોશિયલ મીડિયામાં રજૂ કરેલ વીડિયોમાં તેઓ ગંભીર બિમાર હોવાનું વર્તાઈ આવતું હતું.
અલીગઢમાં જન્મેલા અમરસિંહના પિતાને તાળા બનાવવાનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે પરિવાર કોલકતા સ્થાયી થયો હતો. મધ્યમવર્ગિય પારીવારિક બેકગ્રાઉન્ડ છતાં ભારે ઊંચી મહત્વાકાંક્ષા ધરાવતા અમરસિંહ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરબહાદુર સિંહના સંપર્કમાં આવ્યા પછી આઝમગઢ નજીક સ્થાયી થયા હતા અને મુલાયમસિંહ યાદવના વિશ્વાસુ તરીકે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાષ્ટ્રીય રાજનીતિમાં તેઓ જોડતોડના નિષ્ણાત તરીકેની છાપ ધરાવતા હતા.

હાઈપ્રોફાઈલ છબી, વિવાદાસ્પદ વ્યક્તિત્વ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નિકટના સાથી મનાતા અમરસિંહને વિવાદો સાથે કાયમી નાતો રહ્યો હતો. એબીસીએલ કંપનીના દેવામાં ફસાયેલ અમિતાભ બચ્ચનને બહાર કાઢવામાં પણ અમરસિંહે ઘણી મદદ કરી હોવાનું અમિતાભે જાહેરમાં સ્વીકાર્યું છે. હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં પ્રભાવ વધારવાનો શોખ ધરાવતા અમરસિંહની અભિનેત્રી બિપાશા બસુ સાથેની કહેવાતી ઓડિયો ક્લિપ્સે ભારે ચર્ચા જગાવી હતી. અમિતાભ અને અનિલ અંબાણી સાથેની ગાઢ દોસ્તીમાં પણ એક તબક્કે તિરાડ પડી ગઈ હતી. એ પછી અમરસિંહે અમિતાભને સ્વાર્થી ગણાવતા વિધાનો કર્યા હતા. જોકે તેમ છતાંય અમિતાભ સિંગાપોર ખાતે તેમની ખબર પૂછવા ગયા હતા. એ પછી અમરસિંહે અગાઉના વિધાનો બદલ અમિતાભની માફી માંગી હતી. દરેડના રાજમાતા એટલે કે અમરસિંહના સાસુનું અવસાન થયું ત્યારે અમિતાભ અને અનિલ અંબાણી પણ અંતિમવિધિમાં સામેલ થવા દરેડ આવ્યા હતા.


comments powered by Disqus