નવી દિલ્હીઃ ડોક્ટર જેવા વ્યવસાયમાં રહીને લોકોનો જીવ લેનાર હેવાન દેવેન્દ્ર શર્મા અંગે અત્યંત ચોંકાવનારી માહિતી મળી છે. સિરિયલ કિલર ડો. દેવેન્દ્ર શર્માએ પહેલા કબૂલ્યું હતું કે ૫૦ હત્યા પછી તેને હત્યાની ગણતરી કરવાનું છોડી દીધું હતું. હવે એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં તે ૧૦૦થી વધુ લોકોની હત્યા કરી ચૂક્યો છે. તેમાંથી મોટા ભાગનાને યુપીની એક નહેરમાં રહેલા મગરનું ભોજન બનાવી દીધા હતા.
દેવેન્દ્ર શર્મા નામનો આ ડોક્ટર થોડા સમય પહેલા દિલ્હીથી પકડાયો હતો. તે કિડની કેસમાં છેલ્લા ૧૬ વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને હવે પેરોલ પર બહાર આવ્યો હતો. ૨૦ દિવસ પછી તેને જેલમાં જવાનું હતું પણ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તે પકડાતા તેના કારનામા બહાર આવે છે.
શર્માએ કહ્યું કે મોટા ભાગના શબ ઉત્તર પ્રદેશના કાસગંજની હજારા નહેરમાં ફેંકી દીધા હતા. આ નહેરમાં મોટી સંખ્યામાં મગરમચ્છ રહે છે. શર્માએ ૧૯૮૪ માં બીએએમએસ થયા પછી રાજસ્થાનમાં ક્લિનીક શરૂ કરી હતી. ૧૯૯૪ માં ગેસ એજન્સી માટે એક કંપનીમાં ૧૧ લાખનું રોકાણ કર્યું પરંતુ કંપની અચાનક ગાયબ થઈ ગઈ. આ નુકસાન પછી તેને ૧૯૯૫ માં નકલી ગેસ એજન્સી ખોલી હતી અને ચોરી-હત્યાના રવાડે ચડી ગયો હતો.