નવીદિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાંડેસરા ગ્રૂપની સંડોવણી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં રૂ. ૮.૮૯ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી તેઓ સાંડેસરા બંધુઓનાં મળતિયાઓ હોવાનું માનવામાં આવે છે. જપ્ત કરવામાં આવેલી મિલકતમાં ૮ સ્થાવર મિલકતો, ૩ વાહનો તેમજ કેટલાક બેન્ક ખાતાઓ, શેર્સ, મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટોનો સમાવેશ થાય છે. ઈડીએ જણાવ્યું હતું કે ર્સ્ટિંલગ બાયોટેકનાં માલિકો અને ડિરેકટર્સ દ્વારા બેન્કો સાથે કરવામાં આવેલી છેતરપિંડીનાં કેસમાં કોંગ્રેસનાં દિવંગત નેતા એહમદ પટેલનાં જમાઈ ઈરફાન એહમદ સિદ્દીકી, એક્ટર ડિનો મારિયા, એક્ટર સંજય ખાન તેમજ ડીજે અકીલની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ગુજરાતની ફાર્મા કંપની ર્સ્ટિંલગ બાયોટેકનાં માલિકો સાંડેસરા ગ્રૂપ દ્વારા બેન્કો સાથે કુલ રૂ. ૧૬,૦૦૦ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. બેન્કોની કરોડોની લોન પરત ચૂકવણી કર્યા વિના સાંડેસરા ગ્રૂપનાં માલિકો અને ડિરેકટરો વિદેશ ભાગી ગયા છે.
ઈડીની તપાસ
જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કો સાથે કરોડોની છેતરપિંડી કરીને કૌભાંડ આચરવાનાં કેસમાં દિલ્હી સીબીઆઈ દ્વારા સાંડેસરા ગ્રુપ અને તેનાં માલિકો તેમજ ડિરેકટરો સામે કરાયેલી ફરિયાદને પગલે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઈડીએ અગાઉ રૂ. ૧૪,૫૧૩ કરોડની મિલકત જપ્ત કરી હતી
આ કેસમાં ઈડીએ જુદાજુદા ૮ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર્સ હેઠળ રૂ. ૧૪,૫૧૩ કરોડની સ્થાવર તેમજ જંગમ મિલકત જપ્તી સાથે કુલ રૂ. ૧૪,૫૨૧.૮૦ કરોડની મિલકત અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે. સાંડેસરા ગ્રૂપ દ્વારા બેન્કો સાથે કુલ રૂ. ૧૬,૦૦૦ કરોડની છેતરપિંડી કરાઈ હતી. ˍ
ઈડીએ અત્યાર સુધીમાં ૪ સપ્લિમેન્ટરી ફરિયાદો સાથે ૧ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે. કેસમાં સંડોવાયેલી ૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા આ કેસમાં નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશ પટેલને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.
કોની કેટલી મિલકત જપ્ત કરાઈ?
• સંજય ખાન – રૂ. ૩ કરોડ
• ડિનો મારિયા – રૂ. ૧.૪૦ કરોડ • ડીજે અકીલ અબ્દુલ – રૂ. ૧.૯૮ કરોડ • ઈરફાન સિદ્દીકી – રૂ. ૨.૪૧ કરોડ