ગાંધીનગર: એશિયાટિક લાયનના ઘર એવા સાસણ ગીરમાં સિંહોની વસતીમાં મોટો વધારો થયો છે. આ અભ્યારણ્યમાં સિંહોની વસતી વધીને ૭૦૦ના આંકડા સુધી પહોંચી છે.
કોરોનાના કારણે ૨૦૨૦માં સિંહોની ગણતરી મોકુફ રાખવામાં આવી હતી પરંતુ પૂર્વાનુમાન છે કે સિંહોની સંખ્યા અને વિસ્તારમાં વધારો થયો છે. વન અધિકારીના મતે ગીર અને આજુબાજુના વિસ્તારમાં ૭૧૦થી ૭૩૦ સિંહો હોવાનું અનુમાન છે. ૨૦૧૫માં થયેલી છેલ્લી ગણતરી પ્રમાણે રાજ્યમાં સિંહોની સંખ્યા ૫૨૩ નોંધવામાં આવી હતી. ૨૦૧૫માં સિંહોનો ફેલાવો ૨૨,૦૦૦ ચો.કિ.મી.ના વિસ્તારમાં હતો તે વધીને ૨૦૨૦માં ૩૦,૦૦૦ ચો.કિ.મી થયો છે. સિંહની સંખ્યા ગીર મિતિયાળા, ગીરનાર અને પાણીયા અભ્યારણ્યમાં સરખી છે પરંતુ વસતીની વૃદ્ધિ મુખ્યત્વે અભ્યારણ્ય બહારના વિસ્તારોમાં જોવા મળી છે. જોકે હજી સત્તાવાર રીતે સિંહની ગણતરી કરવામાં આવી નથી. જંગલના અધિકારીઓ સિંહ સાથે નજીકનો નાતો ધરાવે છે પૂનમની ચાંદની હોય ત્યારે મે-જૂનમાં પૂર્વ અવલોકનના માધ્યમથી વસતીની માહિતી મેળવવાનો પ્રયાસ થતો હોય છે. ૨૦૧૫માં જંગલ વિસ્તાર બહાર રહેતા સિંહોની સંખ્યા ૧૬૭ નોંધવામાં આવી હતી પરંતુ ૨૦૨૦માં તે વધીને ૩૨૯ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
શેત્રુંજી અને ધારી ગીરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં ૫ સિંહોના મોત
ધારી ગીરના પુર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં ગંભીર બીમારી આવી હોય તેમ છેલ્લા પંદર દિવસમાં પાંચથી વધારે સિંહોના મોત નિપજતા વન વિભાગમાં દોડધામ મચી હતી. ત્યારે શેત્રુંજી ડિવિઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાં ફરી એકવાર બેબસિયા નામની ગંભીર બીમારીથી સિંહણનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું હતુંધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં ગયા વર્ષ બેબસિયા નામની ગંભીર બીમારીના કારણે ૨૫ થી વધારે સિંહોના મોત નિપજ્યા હતા. ત્યારે ધારી ગીર પુર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં પણ ફરી આ વર્ષ સિંહોના ટપોટપ મોત થવાનો સિલસિલો શરૂ થયો છે, ત્યારે શેત્રુંજી ડિવિઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક બીમાર સિંહણ મળી આવી હતી. ૫ થી ૯ વર્ષની સિંહણને સારવાર મળે તે પહેલા જ બેબસિયા રોગની ગંભીર બીમારીથી મોત થયું હોવાનું સામે આવતા વન વિભાગમાં પણ દોડધામ મચી ગઇ હતી.