ધર્માંતરણ કેસઃ યુકેના અલ ફ્લાહ ટ્રસ્ટ પાસેથી સલાઉદ્દીનને રૂ. ૨.૫ કરોડ મળ્યા હતા

Wednesday 07th July 2021 06:52 EDT
 
 

વડોદરાઃ સલાઉદ્દીનના ટ્રસ્ટનાં બેંક ખાતાઓની તપાસ કરવામાં આવતાં યુકેના અલ ફલાહ ટ્રસ્ટ સાથે તે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. યુકેના ટ્રસ્ટ પાસેથી તેણે અઢી કરોડ રૂપિયા મેળવ્યા હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
સલાઉદ્દીન યુકેના ટ્રસ્ટ પાસેથી રૂપિયા અઢી કરોડનું ફંડ મળ્યું હતું અને આ ફંડ પૈકી રૂપિયા ૪૨ લાખ તેણે ઉમર ગૌતમના ટ્રસ્ટને હવાલા મારફતે ચૂકવ્યા હતા. જેનો ઉપયોગ તેણે ધર્માંતરણ કરવામાં કર્યો હતો. સલાઉદ્દીન કેટલા સમયથી યુકેના ટ્રસ્ટ પાસેથી મદદ મેળવતો હતો અને તે રકમનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો હતો તે સહિતના મુદ્દે પૂછપરછ કરાઈ રહી છે.
આંગડિયા પેઢીમાંથી હવાલાથી રકમ ચૂકવાઇ હતી. યુકેના ટ્રસ્ટ દ્વારા સલાઉદ્દીનના ટ્રસ્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાઇ હતી તો આ ટ્રસ્ટ કોણ ચલાવી રહ્યું છે અને સલાઉદ્દીનના ટ્રસ્ટ સિવાય અન્ય કયાં ટ્રસ્ટોને મદદ ફાળવાઇ છે.

યુપી એટીએસની મદદથી અમદાવાદ ખાતે ઝડપાયો

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં ગુજરાત ATSએ UP ATSની મદદથી અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી હતી. જેમાં ગુજરાત ATSએ સલાઉદ્દીન શેખની અમદાવાદમાં ધરપકડ કરી હતી.
ગુજરાત ATSએ પકડેલા સલાઉદ્દીન પર ઉત્તર પ્રદેશમાં દાખલ થયેલા ધર્માંતરણ કેસમાં ૧૦ લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં પણ આરોપી વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. તેને એક નહીં ૨ NGOમાં વિદેશી ફન્ડિંગ મળતું હતું. ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ લોકો પર રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. તેઓ મુખ્યત્વે મુક-બધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. જેમાં ઉંમર ગૌતમ પહેલા હિન્દુ હતો, પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. તે આસામની મરકઝ-ઉલ-મારિફ સંસ્થાની સાથે કામ કરતો અને આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને ૨૦૧૦માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે.

સલાઉદ્દીનને ભરૂચનો NRI મોટી રકમ મોકલતો હોવાનો ઘટસ્ફોટ

ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના કિસ્સામાં ભરૂચના એનઆરઆઈ દ્વારા હવાલા મારફતે સલાઉદ્દીનના એએફએમઆઈ ટ્રસ્ટને મોટી રકમ મોકલી હોવાનો તપાસકર્તા એજન્સીઓની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
જેના પગલે પોલીસ દ્વારા ગુપ્ત રાહે દક્ષિણ ગુજરાતના હવાલા ઓપરેટરો અને આંગડિયા પેઢીના સંચાલકોની ઓફિસોમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સલાઉદ્દીનને વિદેશથી મળેલા રૂા.૧૦ કરોડ અને ઉમર ગૌતમના આર્થિક વ્યવહારોની તપાસમાં કેન્દ્રીય એજન્સીને ભરૂચ, સુરત, કોસંબાના હવાલા ઓપરેટરો અને આંગડિયા એજન્સીઓ દ્વારા પણ રૂપિયા હવાલા મારફતે મોકલવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. વિદેશથી સલાઉદ્દીનને લાખો રૂપિયા મોકલનાર ભરૂચના એનઆરઆઈની કુંડળી શોધવામાં તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે.


comments powered by Disqus