નિંગાળા ગામે રહેણાક મકાનમાં ચાર સિંહ ઘૂસી જતાં ગામ લોકોમાં દોડધામ

Wednesday 07th July 2021 06:47 EDT
 

જૂનાગઢઃ ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં ગત મોડી રાત્રીના સિહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. અને ચાર જેટલા સિંહનું ટોળું ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં ગામ લોકોમાં અફડાતફડી મચી હતી અને જેમાંથી ત્રણ જેટલા સિંહો ગામમાં એકલા રહેતા વૃદ્વાના મકાનમાં ઘુસી જતા દોડધામ મચી ગઇ હતી.
ખાંભા તાલુકાના ગીરકાંઠાના છેવાડાના નીંગાળા ગામમાં ચાર સિંહોનું ટોળું મોડી રાત્રીએ ગામમાં ઘૂસી આવ્યું હતું. નિંગાળા ગામમાં એકલા જ રહેતા શાંતુબેન બાંભણિયા નામના વૃદ્વાના રહેણાંક મકાનની દિવાલ કુદી ત્રણ સિંહો ઘરમાં ઘૂસી ગયા હતા અને આ સિંહોએ ૨૦થી ૨૫ મિનિટ સુધી રહેણાંક ઘરની અંદર જ ડેરો જમાવ્યો હતો. ઘરની અંદર આંટાફેરા કર્યો હતો. અને મકાન પર પણ ચડ્યા હતા.
વૃદ્વા ઘરમાં પુરાઇ ગયા હતા અને વૃદ્વાના અવાજથી ગામલોકો એકઠા થઇ ગયા. બાદમાં ગ્રામજનો દ્વારા હાકલા પડકારા કરી સિંહોને ઘરની બહાર તગેડ્યા હતા. ઉપરાંત ચાર સિંહોને ગામમાં જ બે પશુના મારણ કર્યો હતા. અને ગામલોકો દ્વારા મોડી રાત્રીના વન વિભાગને જાણ કરી હતી.
સામાન્ય રીતે શિકારની શોધ અથવા વરસાદી વાતાવરણમાં મચ્છરોથી અકળાઈ સિંહ રહેણાંક વિસ્તારમાં ચડી આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ વોર્મિંગના કારણે સિંહોની માનસસ્થિતિમાં પરિવર્તન આવ્યું હોવાનું એનિમલ એક્ટિવિસ્ટો જણાવી રહ્યા છે.


comments powered by Disqus