પહિંદવિધીમાં મુખ્યપ્રધાન અને નાયબ પ્રધાનને આમંત્રણ

Wednesday 07th July 2021 06:13 EDT
 
 

ગાંધીનગર: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ બીજી બાજુ રથયાત્રાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ગાંધીનગરમાં રથયાત્રા નીકળશે એ નક્કી છે. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીના ભાગરૂપે મંદિર બહાર પોસ્ટર લગાવાયા છે. મંદિર બહાર સિરીઝ લગાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જોકે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના સંતો, ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અષાઢી બીજની સવારે રથયાત્રામાં પહિંદવિધી માટે આમંત્રણ આપ્યુ હતુ. અંદરખાને તો સરકારે ત્રણેય રથને નગરચર્યાએ લઈ જવા લીલીઝંડી આપી જ દીધી છે, પરંતુ તેના સ્વરૂપ મુદ્દે અસમંજસતા હોવાથી સત્તાવારપણે આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી. બીજી તરફ મંદિરના આગેવાનોને પુછયું તો તેમણે ‘સરકાર કહેશે તો રથયાત્રા કાઢીશુ’ એમ મંજૂરીની રાહ જોઈ રહ્યાનું ઉમેર્યુ હતુ.
ગુજરાત સરકારનું સંચાલન જ્યાંથી થાય છે તે ગાંધીનગર શહેરમાં રથયાત્રા નિકળવાની છે. જો કે, અમદાવાદ શહેરની ઐતિહાસિક રથયાત્રા વિષયે સરકાર અને આયોજક ટ્રસ્ટીઓએ સત્તાવાર પણે તેનું એલાન કર્યુ નથી. બીજી તરફ અમદાવાદના સરસપુરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મામેરાની વિધી માટેના વસ્ત્રાભૂષણો શ્રાધ્ધાળુઓના દર્શનાર્થે રહ્યા હતા.
એક સપ્તાહ પછી ૧૨ જૂલાઈની સવારે જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વે યોજાતી પહિંદવિધી માટે આમંત્રણ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનને આમંત્રણ મળી ચૂક્યુ છે. કોરોનાના ચેપનું સંક્રમણ અને વેક્સિનેશન કવરેજની સ્થિતિની સમિક્ષા કરીને કેબિનેટની બેઠકમાં રથયાત્રા યોજવા, તેના સ્વરૂપ અને સમય સંદર્ભે નિર્ણય થશે એમ ગૃહ વિભાગમાંથી જાણવા મળ્યુ છે.

ભગવાનને મામેરામાં બંગાળી શૈલીનાં ઘરેણાં અર્પણ કરાયા

અષાઢી બીજના રથયાત્રા નીકળશે કે કેમ તેને લઇને અનિશ્ચિતતા યથાવત્ છે ત્યારે સરસપુર ખાતે રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીનું ભવ્ય મામેરું કરવામાં આવ્યું હતું. જેમાં જગન્નાથજીને મહારાષ્ટ્રિયન શૈલીની પાઘડી, બંગાળી શૈલીના હીરાના ઝવેરાતના ઘરેણા તેમજ સુભદ્રાજીને પાર્વતીના શ્રીંગાર અર્પણ કરાયા હતા.
સરસપુર ખાતે ભગવાનનું મામેરું યોજવામાં આવ્યું હતું. મંદિરમાં તેમજ ઓનલાઇન પણ મામેરાના દર્શન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. ભક્તોને મંદિરમાં ચેવડા-પેંડાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ વખતે મામેરામાં ભગવાનના વસ્ત્રો અને આભુષણો ખાસ જયપુર તેમજ મહારાષ્ટ્રથી બનાવવામાં આવ્યા છે. મામેરામાં મહારાષ્ટ્રિયન શૈલીની પાઘડી, બંગાળી શૈલીના હીરાના ઝવેરાતના ઘરેણા તેમજ સુભદ્રાજીને પાર્વતીના શ્રીંગાર, સોનાની વીંટી-બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીની ગાય પણ અર્પણ કરવામાં આવી હતી. સરસપુરના રહેવાસી મહેશ ઠાકોર આ વખતે મામેરાના યજમાન હતા. મામેરાની યજમાની કરવાની તેમના પરિવારની ઈચ્છા ૫૦ વર્ષે પૂર્ણ થઇ છે. ગત વર્ષે ભગવાનનું મામેરું સરસપુરના લોકોએ સાથે મળીને કર્યું હતું.


comments powered by Disqus