મધ્ય પ્રદેશના રાજ્યપાલ પદે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા મંગુભાઈ પટેલ

Wednesday 07th July 2021 06:18 EDT
 
 

નવસારીઃ ગુજરાત સરકાર પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા મંગુભાઈ સી. પટેલની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે વરણી કરાઈ છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ આ રાજ્યનો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યાં હતાં. રાષ્ટ્રપતિ દ્વારા મંગળવારે કર્ણાટક, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ સહિત વિવિધ રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કરાઈ છે.
ગુજરાત વિધાનસભામાં પાંચ વખત નવસારી બેઠકનું અને એક વખત ગણદેવી બેઠકનું એમ કુલ છ વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ધારાસભ્ય મંગુભાઈની અટક પટેલ છે, પરંતુ મૂળતઃ તેઓ દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા છે. નવસારીની બેઠક ઉપરથી જ સંસદસભ્ય સી. આર. પાટીલની ચૂંટણીપ્રચારની જવાબદારી તેઓ સંભાળતા હતા. નજીકના વર્તુળોમાં તેમની ગણતરી મૃદુભાષી સજ્જન તરીકેની થાય છે.
પાટીલની નજીકની વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂકથી ચોક્કસપણે તેમનું કદ વધ્યું છે, પરંતુ તેના કારણે ગુજરાતમાંથી નેતૃત્વપરિવર્તન થશે કે તેના અણસાર છે, એમ કહી ન શકાય.
કોંગ્રેસના કુમુદબહેન જોશી બાદ મંગુભાઇ પટેલ નવસારીમાંથી રાજ્યપાલ બનનારા બીજા મહાનુભાવ છે. કુમુદબહેન જોશી આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે.


comments powered by Disqus