મુંબઈ સમાચારનો ૨૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશઃ દર વર્ષે પહેલી જુલાઈએ ઉજવાશે ગુજરાતી પત્રકારત્વ દિવસ

Wednesday 07th July 2021 06:49 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા પહેલી જુલાઈના રોજ યોજાયેલા વેબિનારમાં દેશ-વિદેશથી નામાંકિત તંત્રીઓ અને પત્રકારો જોડાયા હતા. મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનનું પુણ્ય સ્મરણ કરીને પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. આ અવસરે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો વીડિયો સંદેશ રજૂ કરાયો હતો. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કરે છે એ વિરલ ઘટના છે. સમગ્ર એશિયા ખંડમાં સતત બસો વર્ષથી પ્રકાશિત થતું હોય તેવું અખબાર મુંબઈ સમાચાર છે એ મોટી સિદ્ધિના વાત છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ભવ્ય છે. અનેક તંત્રીઓ અને પત્રકારોએ ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ કર્યું છે. પત્રકારત્વ સમાજના ઉત્થાનનું કામ પણ કરી શકે છે તેવું સાબિત પણ થયું છે. અખબારોને ચોથી જાગીર ગણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અખબાર સમાજના દર્પણ તરીકે રોલ અદા કરે છે. પત્રકારત્વ ઈતિહાસ લખે છે તો ઈતિહાસ સર્જી પણ શકે છે. ગાંધીજીના પત્રકારત્વને યાદ કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે એ વખતના પત્રકારત્વે સ્વતંત્રતાની લડતને મોટો વેગ આપ્યો હતો. તેમણે કરશન મૂળજી સહિત વિવિધ તંત્રીઓના સમાજ સુધારણાના પત્રકારત્વને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સનસનાટી જન્માવવાના પ્રયાસમાં અતિ નકારાત્મક થવાથી લોકો હકારાત્મકતા કે આશાવાદ ગુમાવી ના બેસે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રસંગે સમિતિના લોગોનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ જાણીતા ચિત્રકાર શ્રી કનુ પટેલે કર્યું હતું. તેમણે જ આ લોગોનું સર્જન કર્યું છે.
આ પ્રસંગે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિના પ્રમુખ અને જન્મભૂમિ ગ્રૂપના મુખ્ય તંત્રી કુંદન વ્યાસે જણાવ્યું હતું કે આ અવસર માત્ર મુંબઈ સમાચાર માટે નહીં, ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા તમામ માટે મોટો ઉત્સવ છે. કોઈ અખબાર સાતત્ય સાથે બસો વર્ષ ચાલે અને પોતાનું નામ અને માન સાચવી રાખે એ મોટી સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું હતું કે પત્રકારો કે તંત્રીઓને એવોર્ડ અપાતા હોય છે, પણ કોઈ અખબારનું સન્માન થાય એ ઘણી મોટી વાત છે.
તેમણે કહ્યું કે આરએનઆઈના રેકોર્ડ પ્રમાણે ભારતમાં ગુજરાતી ભાષામાં ૧૯૨૬ અખબારો પ્રકાશિત થાય છે તેમાં ૧૦૮ દૈનિકો અને ૯૯૩ સાપ્તાહિકો છે. તળ ગુજરાતમાં ૧૮૮૫ અખબારો પ્રકાશિત થાય છે. ગુજરાત બહાર મુંબઈ સહિત દેશ-વિદેશમાંથી પણ ગુજરાતી ભાષામાં અખબારો પ્રકાશિત થાય છે. અખબારો ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે ભાષાકીય પત્રકારત્વને બચાવવું જોઈએ.
આ અવસરે પહેલી જુલાઈના દિવસને ગુજરાતી પત્રકારત્વ દિવસ જાહેર કરાયો હતો. આ અંગે સમિતિના સભ્ય અને એનઆઈજેએમસી સંસ્થાના ડિરેકટર શિરીષ કાશિકરે માહિતી આપી હતી.
‘મુંબઈ સમાચાર’ તરફથી પ્રતિસાદ આપતાં તંત્રી નીલેશ દવેએ જણાવ્યું હતું કે મુંબઈ સમાચારના બસો વર્ષનો અવસર ગુજરાતી પત્રકારત્વમાં નવી ઉર્જા લાવે અને બધા સંગઠિત થાય એ યાદગાર બની રહેશે. તેમણે આ ઉજવણી અંગે જણાવ્યું હતું કે આપણે આંગળી પકડીને નવી પેઢીને એવી જગ્યાએ લઈ જઈએ જ્યાં તેમને માલૂમ પડે કે શબ્દની શક્તિ શું હોય છે. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ સમાચાર ૧૫૦ ગ્રાહકોથી શરૂ થયું હતું, ૨૦૦ વર્ષમાં આજે સમગ્ર ગુજરાતી અખબારોના એક કરોડ જેટલા વાચકો હશે. આ સ્થિતિ માતૃભાષા ગુજરાતીને કારણે સર્જાઈ છે. આપણે તેનું જતન અને સંવર્ધન કરીએ.
જાણીતા પત્રકાર-લેખક અને વેબિનારના સૂત્રધાર રમેશ તન્નાએ ‘મુંબઈ સમાચારઃ ફરદુનજી મર્ઝબાનની પરાક્રમી પહેલ’ વિષય પર અભ્યાસી અને સંક્ષિપ્ત વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે ફરદુનજી મર્ઝબાને અનેક પડકારોનો સામનો કરીને પહેલા ગુજરાતી અખબારનો પ્રારંભ કર્યો હતો. નવી પેઢીમાં બે સદીમાં ગુજરાતી ભાષામાં થયેલા તંત્રીઓ અને પત્રકારોની લોકનિષ્ઠાનું આરોહણ થાય એ જ તેની સાચી ઉજવણી ગણાશે. તેમણે જણાવ્યું કે બે સદીનું ગુજરાતી અખબારી પત્રકારત્વ રંગીન અને સંગીન છે. એક-એકથી ચડિયાતા અનેક તંત્રીઓએ માતબર પ્રદાન કર્યું છે ત્યારે અમદાવાદ કે ગાંધીનગરમાં ગુજરાતી અખબારી પત્રકારત્વનું સંગ્રહાલય સ્થપાવું જોઈએ.
આ અવસરે લંડનથી જોડાયેલા ગુજરાત સમાચારની પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ દરિયાપારના ગુજરાતી પત્રકારત્વની સુગંધની વાત કરી હતી. વરિષ્ઠ પત્રકાર ભિખેશ ભટ્ટે આ અવસરને ઐતિહાસિક ગણાવ્યો હતો.
જાણીતા યુવા ગાયક ઋષભ કાપડિયાની પ્રાર્થના ગાનથી વેબિનારનો શુભારંભ થયો હતો. આ વેબિનારમાં ગુજરાતી ભાષાના દિગ્ગજ તંત્રીઓ-સંપાદકો, સમિતિના સભ્યો, પત્રકારત્વની વિવિધ સંસ્થાઓના સંચાલકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


comments powered by Disqus