નવીદિલ્હીઃ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા કંપનીએ તેના દ્વારા નિર્મિત કોરોનાની રસી ઝાયકોવ-ડીના ભારતમાં ઇમર્જન્સી યૂઝ માટેની મંજૂરી માટે ભારતના ડ્રગ કન્ટ્રોલર સમક્ષ અરજી રજૂ કરી હતી. ઝાયડસ કેડિલાની કોરોના રસી ઝાયકોવ-ડી વિશ્વની સૌપ્રથમ પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે.
વેક્સિનને મંજૂરી મળતાં તે ન કેવળ પુખ્તો પરંતુ ૧૨થી ૧૮ની વયજૂથનાં બાળકો અને સગીરો માટે પણ અત્યંત મદદરૂપ પુરવાર થશે. ઝાયકોવ-ડી ૧૨થી ૧૮ વર્ષનાં બાળકો અને સગીરો માટે પણ અત્યંત સુરક્ષિત છે. RTPCR પોઝિટિવ વ્યક્તિમાં આ કોરોના રસી ૬૬.૬ ટકા અને હળવાં લક્ષણ ધરાવતા વ્યક્તિમાં ૧૦૦ ટકા અસરકારક પુરવાર થઇ છે. માનવીમાં ઉપયોગ માટેની વિશ્વની સૌપ્રથમ પ્લાઝમિડ ડીએનએ વેક્સિન ઝાયકોવ-ડીએ કોરોના સામેની લડાઇમાં અસરકારકતા પુરવાર કરી છે.
ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, ડીસીજીઆઇની મંજૂરી મળે તો અમે ૪૫થી ૬૦ દિવસમાં રસી લોન્ચ કરીશું. ક્લિનિકલ ટ્રાયલોમાં રસીનો બીજો અને ત્રીજો ડોઝ અપાયા પછી આડઅસરનો કોઇ ગંભીર કેસ કે મોતનો કેસ નોંધાયો નથી. દેશમાં ૫૦ કરતાં વધુ ક્લિનિકલ સાઇટ ખાતે રસીની ક્લિનિકલ ટ્રાયલો હાથ ધરાઇ હતી. પટેલે ઉમેર્યું હતું
કે, અમે ઝાયકોવ-ડીમાં ૩ એમજીના બે ડોઝ લેવાના રહેશે. રસીના આ બે ડોઝમાં પણ હાલની ૩ ડોઝની રસી જેટલી જ અસરકારકતા જોવા મળી છે.