• એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં નિકાસ વધીને ૯૫૩૬ કરોડ ડોલરની વિક્રમી સપાટીએ: એન્જિનિયરિંગ, જેન્સ એન્ડ જ્વેલરી, પેટ્રોલિયમ પેદાશો જેવા સેક્ટરમાં નિકાસ વધતા જૂન મહિનામાં દેશની નિકાસ ૪૭ ટકા વધીને ૩૨.૪૬ અબજ ડોલર રહી છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. એપ્રિલથી જૂન એટલે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં નિકાસ વધીને ૯૫.૩૬ અબજ ડોલર રહી છે. વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલના જણાવ્યા અનુસાર એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરની નિકાસ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ છે. અત્યાર સુધીના કોઇ પણ કવાર્ટરમાં આટલી વધુ નિકાસ જોવા મળી નથી. ઉલ્લેખનીય છે કે જૂન, ૨૦૨૦માં નિકાસ ૨૨ અબજ ડોલર જ્યારે જૂન, ૨૦૧૯માં નિકાસ ૨૫ અબજ ડોલર હતી. તો મે, ૨૦૨૧માં નિકાસ ૩૨.૨૭ અબજ ડોલર હતી. જ્યારે એપ્રિલ, ૨૦૨૧માં નિકાસ ૩૧ અબજ ડોલર રહી હતી.
• ઈડીએ અજિત પવારનાં પત્નીનાં નામની સુગર મિલની રૂ. ૬૫.૭૫ કરોડની મિલકત ટાંચમાં લીધી: મહારાષ્ટ્ર રાજ્ય કો.ઓ. બેન્કનાં રૂ. ૨૫,૦૦૦ કરોડનાં કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) દ્વારા NCP નેતા અજિત પવાર સામે સકંજો કસવામાં આવ્યો છે. ઈડીએ અજિત પવારનાં પત્નીનાં નામની સુગર મિલની રૂ. ૬૫.૭૫ કરોડની મિલકત ટાંચમાં લીધી છે. જેમાં કોંરેગાંવનાં ચીમનગાંવ ખાતે આવેલી સુગર મિલની જમીન, બિલ્ડિંગ, પ્લાન્ટ અને મશીનરીનો સમાવેશ થાય છે. આ મિલકત ૨૦૧૦માં આ કિંમતે ખરીદવામાં આવી હતી. ઈડી દ્વારા હવે રાજ્યનાં ડેપ્યુટી મુખ્યપ્રધાન અજિત પવારની પૂછપરછ કરવામાં આવી શકે. ઈડી દ્વારા ૨૦૧૯માં કરવામાં આવેલી ફરિયાદ પછી મની લોન્ડરિંગના કેસની તપાસ કરવામાં આવી રહી છે. પવારે બચાવમાં કહ્યું છે કે તેમને આવી કોઈ નોટિસ મળી નથી કે મિલકત ટાંચમાં લીધી હોવાની જાણ નથી. આ કેસમાં ૭૦ જેટલા નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે પણ પહેલી વખત મિલકત ટાંચમાં લેવાઈ છે.
• ટેલ્કમ પાઉડરના કન્ટેનરમાંથી બે હજાર કરોડનું ડ્રગ નીકળ્યું: ઉરણના જેએનપીટી બંદર વિસ્તારમાં કસ્ટમ્સના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ટેલ્કમ પાઉડરની આડમાં હેરોઇન ડ્રગની દાણચોરીનું કૌભાંડ પકડાયું હતું. ડીઆરઆઇ દ્વારા અચાનક તપાસ કરવામાં આવી હતી. જે સમયે તેમાંથી ૨૯૦ કિલો હેરોઇન મળી આવ્યું. આ જથ્થાની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ.૨,૦૦૦ કરોડ ઊપજે છે. હેરોઇનનો મોટો જથ્થો સમુદ્રિ માર્ગે ભારતમાં લાવી મુંબઇ અને દિલ્હીમાં વિતરણ કરાશે તેવી માહિતી મળી હતી.
• શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધઃ જમ્મુ એરબેઝ પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. જે બાદ પણ કાશ્મીરમાં કેટલાક સૈન્ય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં ડ્રોન રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. શ્રીનગરમાં ડ્રોન પર બેન મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે હવે શ્રીનગરમાં ડ્રોન રાખવા, ખરીદવા, વેચવા, ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ રહેશે.