જુનાગઢઃ વિસાવદરના લેરીયા ગામે સાંજે સાત વાગ્યે ‘આપ’નું જનસંવેદના સંમેલન યોજવામાં આવનાર હતું, જેમાં ભેંસાણના ભાજપના સરપંચ ભૂપત ભાયાણી સહીતના ૫૦ આગેવાનો ‘આપ’માં જોડાવાના હતા. ‘આપ’ના પ્રદેશ નેતાઓ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ મોણીયા મુકામે નાગબાઈ માતાજીના મંદિરે દર્શન કરીને લેરીયા ગામે આયોજિત કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ‘આપ’ની કારનો કાફ્લો લેરીયા ગામના પાદરમાં પહોચ્યો ત્યાં પાદરમાં જ કેટલાક લોકો હાથમાં કાળા વાવટા સાથે હર હર મહાદેવના નારા સાથે ગોપાલ ઇટાલીયાનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ ગોપાલ ઈટાલીયા હજુ લેરીયા પહોંચ્યો જ ન હતો, પરંતુ જે કાફ્લો ગામમાં હતો, તેના પર ટોળામાંથી કોઈએ કાંકરીચાળો કરીને ‘આપ’ના કાર્યકર હરેશ સાવલિયા પર હુમલો કર્યો હતો. જેને લઈને જોત-જોતામાં પથ્થરમારો થતા કારના કાચ ફોડી નાખ્યા હતા. ‘આપ’ના નેતાઓએ કાફ્લા સાથે ગામમાંથી બહાર નીકળી હુમલામાં ઘાયલ હરેશભાઈને હોસ્પિટલ ખસેડયા હતા.તેમજ સંમેલન મોકૂફ રાખીને ફરિયાદ માટે પોલીસ મથકે પહોચ્યા હતા.
આપના કાર્યકરોએ રામધૂન બોલાવ્યા બાદ ગુનો નોંધાયો
વિસાવદરના લેરિયા ગામની હિચકારા હુમલાની ઘટનામાં આપના આગેવાનો અને કાર્યકરોએ પોલીસ મથક અને તેની બહાર રામધૂન બોલાવ્યા બાદ ગુનો નોંધાયો હતો. તો સામાપક્ષે આપના આગેવાન અને કાર્યકરો સામે પણ હુમલો અને ખૂનના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.