હિન્દુ-મુસ્લિમ અલગ નથી, બધા ભારતીયોનું ડીએનએ એકઃ ભાગવત

Wednesday 07th July 2021 07:35 EDT
 
 

નવીદિલ્હીઃ આરએસએસના વડા મોહન ભાગવતે દેશની એકતા અને અખંડિતતા માટે આહ્વાન કર્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે, આ દેશમાં રહેતો નાગરિક કોઈપણ ધર્મનું અનુસરણ કરતો હોય તો પણ તેનું ડીએનએ ભારતીય જ છે. તેમને કોઈપણ રીતે અલગ પાડી શકાય નહીં. આ દેશમાં માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ છે. હિન્દુ અને મુસ્લિમ અલગ છે તેવી વાતો ભ્રામક છે. છેલ્લા ૪૦,૦૦૦ વર્ષોથી આપણે એક સરખા જ પૂર્વજોના વંશજો છીએ. આ સંજોગોમાં હિંદુ અને મુસ્લિમ જેવા ભાગ પાડી શકાય જ
નહીં. તમામનું ડીએનએ એક જેવું જ છે.
સંઘના વડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ આવીને એમ કહેતી હોય કે આ હિન્દુ રાષ્ટ્ર છે અને મુસ્લિમો અહીંયા રહી શકે નહીં તો તે માત્ર ગેરમાર્ગે દોરવાની વાત છે. આ વ્યક્તિ હિન્દુ હોઈ શકે જ નહીં. તેવી જ રીતે ગાય પવિત્ર પ્રાણી છે અને તેની હત્યા કરનારા લોકો હિન્દુત્વનું અપમાન કરનારા છે. મોબ લિન્ચિંગ કરનારા પણ હિન્દુત્વનું અપમાન કરે છે. તેમણે આ મંચથી CAA અને NRCનું સમર્થન કર્યું હતું. દેશમાં હિન્દુ અને મુસ્લિમને અલગ પાડી શકાય તેમ જ નથી. આ બંને એક જ છે. તેમના પૂર્વજો પણ એક જ છે. માત્ર લાભ લેવા માટે ક્યાંક ભાગ પાડવામાં આવતા હોય તો તે રાજકારણનો વિષય છે.


comments powered by Disqus